Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં યુવા કમાન્ડોઍ આત્મહત્યાનો પ્રયાસ કરનાર દર્દીને બચાવતા મુખ્યપ્રધાન દ્વારા જીવન રક્ષક પદક માટે પસંદગી

સાબરકાંઠા: હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારના યુવાન કમાન્ડોને 26 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન દ્વારા જીવન રક્ષક પદક માટે પસંદ કરવામાં આવ્યા છે. ભોલેશ્વરનો યુવાન ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડોમા ફરજ બજાવે છે. ગાંધીનગરમા ફરજ બજાવતા ભોલેશ્વરના ચેતક કમાન્ડો રાકેશ જાદવે સિવિલ હોસ્પિટલમા આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક દર્દીને તેણે જીવના જોખમે બચાવ્યો હતો.

વર્ષ 2019 દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વોર્ડમાં દાખલ નારાયણભાઈ સોલંકીએ આઠમા માળના બાથરૂમની બારીમાથી બહાર નીકળીને છત પર બેસી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે આ વિશેની જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન રાકેશ જાદવ પોતાના સગાને ખબર અંતર પૂછવા આવ્યા હતા. ગાંધીનગરના કમાન્ડો યુનિટ-1 માં હેડ કોન્સ્ટેબલ કમાન્ડો તરીકે ફરજ બજાવતા રાકેશ જાદવ એક પળનો વિચાર કર્યા વગર જ આઠમા માળે છતની બારી પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલા નારાયણભાઈને વાતોની જાળમાં ફસાવ્યા હતા.

આ દરમ્યાન તેમને નારાયણભાઈનો એક હાથ પકડી લીધો હતો અને બાદમા બારીમાંથી ડોકુ પકડી લીધું હતું. બસ આ સાથે જ તેમણે નારાયણભાઈને ખેંચી લીધા હતા. આમ રાકેશ જાદવે પોતાના જીવના જોખમે નારાયણભાઈને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવ્યો હતો. જો આ સમયે દર્દીએ જરા પણ ખેંચતાણ કરી હોત તો રાકેશ જાદવનો પણ જીવ મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. પણ તેમ છતાં તેમણે વિચાર્યા વગર નારાયણભાઈનો જીવ બચાવ્યો હતો. જોકે તેમણે પોતાની તાલીમ અને બહાદુરી ખરા સમયે તેમણે કામે લગાડી હતી. જે બાબતની નોંધ સરકારે લીધી હતી. સરકારે તેમને જીવન રક્ષક પદક માટે પસંદ કર્યા હતા. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગોધરા ખાતે જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં તેમને પદક સન્માન મેળવવા માટે દિલ્હી જવા નિમંત્રણ મળશે.

(5:08 pm IST)