Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આણંદના બોરસદની ચોકડી પાસે 10 લાખની લૂંટ કરનારા આરોપી અમદાવાદથી ઝડપાયા

વિદ્યાનગરના વેપારી પાસેથી 10 લાખ ભરેલી બેગ લૂંટીને ફરાર થયેલા આરોપીઓને છારાનગરથી પોલીસે દબોચી લીધા

આણંદમાં આવેલી બોરસદ ચોકડી પાસે ત્રણ દિવસ અગાવ વિદ્યાનગરના વેપારી પાસેથી 10 લાખ ભરેલી બેગની ચિલઝડપ લઈ ઈસમો રફુચક્કર થઈ ગયા હતા. આણંદ ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની અટકાયત કરી ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.

 આ અંગેની વિગત મુજબ સરદાર પટેલ રાજ માર્ગ પર રહેતા એક વેપારી 10 લાખ ભરેલી બેગ લઈ અંગત કામથી બોરસદ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતની નકલી ઘટના ઉપજાવી ડ્રાઈવર અને વેપારી સાથે માથાકૂટ કરી ગાડીમાંથી 10 લાખ ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બનતા ભોગ બનેલા વેપારીએ આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત આણંદ ટાઉન પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં અમદાવાદના છારાનગર વિસ્તારમાંથી ચાર આરોપીની અટકાયત કરી હતી.

અમદાવાદના છારાનગરવિસ્તારના રહેવાસી અજય ઉર્ફે મોતિયો અને વિશાલ પૂનમ ગાગરેને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અન્ય બે આરોપી કલાપી દોલત ઘમંડે અને અર્ચના માછરેકર (મહિલા)ને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલા બાઇક પણ ચોરીના હોવાની માહિતી આપી હતી. હાલ 10 લાખની થયેલી લૂંટમાંથી પોલીસે 4,90,000 જેટલા રૂપિયા રિકવર કર્યા છે અને અન્ય નાણાં અને આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આનંદ DySP જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓમાં આ ગેંગની એમ.ઓ રહેતી હોય છે. જેમાં અજાણ્યા સાધનો સાથે અકસ્માત સર્જી આ ગેંગ કિંમતી સામાનની લૂંટ ચલાવતા હોય છે, ત્યારે અધિકારી દ્વારા પ્રજાને સતર્ક રહેવા સાથે મુસાફરી સમયે કિંમતી સામાનની કાળજી રાખવા સલાહ આપવામાં આવી હતી.

(11:05 am IST)