Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

21 ઓક્‍ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો થશે શુભારંભઃ કોંગ્રેસના મિત્રો કૃષિ બીલ અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરેઃ વિજયભાઇ રૂપાણી

‘હર હાથ કો કામ હર ખેત કો પાની'ના ધ્‍યેય સાથે ગુજરાત સરકાર ખેડૂતો માટે કરી રહી છે કામઃ ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રીનો આભાર માનતા ગુજરાત અને સૌરાષ્‍ટ્રના ખેડૂત મિત્રો

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ખેડૂતહિત લક્ષી ગુજરાત સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનમાં ખેડૂતોને સહાય પેટે તાજેતરમાં જાહેર કરેલા રૂ. ૩૭૦૦ કરોડના પેકેજ, ખેડૂતોને વિવિધ સ્વરૂપે મદદ કરતાં સાત પગલાં ખેડૂત કલ્યાણના, ટેકાના ભાવે પાકની ખરીદી, APMC એક્ટ કરેલા સુધારા તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કેન્દ્રમાં ખેડૂતોના હિતમાં પસાર કરેલા ત્રણ કૃષિ બિલના નિર્ણયોને ગુજરાતના ખેડૂતોએ આવકાર્યા હતા.

જેના ભાગરૂપે સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂમાં મળીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ આભાર માની વિવિધ મોમેન્ટોથી સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ૨૧, ઓક્ટોબરથી પ્રતિમણ રૂ. ૧૦૫૫ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. કોંગ્રેસના મિત્રો ખેડૂતોને કૃષિ બિલ અંગે ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. હર હાથ કો કામ હર ખેત કો પાનીના ધ્યેય મંત્ર સાથે તમામના કલ્યાણ માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગામડું સુખી હશે તો જ શહેરમાં રૂપિયા આવશે. આજથી ૨૦ વર્ષ પહેલાની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, વીજળી, અને પાણી આપવામાં આવે તો જગતની ભૂખ ભાંગવાની શક્તિ ગુજરાતના બાવળામાં છે. કેન્દ્રની કોંગ્રેસની સરકારોએ સાત-સાત વર્ષ સુધી ગુજરાતમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની મંજૂરી ના આપી તેથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો ખેડૂત સિંચાઇ વિનાનો રહ્યો. જ્યારે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર ૧૭ દિવસમાં જ દરવાજા બંધ કરવાની મંજૂરી આપી હતી. જેના પરિણામે છેલ્લા ૨ વર્ષથી સરદાર સરોવર બંધ સંપૂર્ણ છલકાય છે. આજે આપણે સૌની યોજના થકી સૌરાષ્ટ્ર અને સુજલામ સુફલામ કેનાલ દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વખતમાં લંગડી વિજળી મળતી હતી જ્યારે અમારી સરકારે જ્યોતીગ્રામના માધ્યમથી ૨૪ કલાક વિજળી ઉપલબ્ધ કરાવી છે. એટલું જ નહી ખેડૂતોને રાત્રે પાકને પાણી પાવા જવું ન પડે અને દિવસે જ આઠ કલાક વિજળી મળી રહે તે આધારિત સોલાર આધારિત દિનકર યોજના જાહેર કરવામાં આવી છે જે આવનાર ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી ૧૫,૦૦૦ કરોડથી વધુ રકમની કૃષિ ઉપજ ટેકાના ભાવે ખરીદી છે. પાક વીમા કંપનીઓ સમયસર વિમાની રકમ ચૂકવતી ન હોવાથી વિવિધ કુદરતી આપત્તિમાં ખેડૂતને રાજ્ય સરકારે સીધી સહાય ચુકવવાનું નક્કી કર્યુ છે જેના ભાગરૂપે રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અતિવૃષ્ટિથી પાક નુકસાન થયુ છે તેવા તમામ ખેડૂતોના ખાતામાં નાણા આગામી ૧૫મી ઓક્ટોબરે જમા કરાવવામાં આવશે. ખેડૂત સુખી તો જગત સુખી આ મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ સરકાર ખેડૂતોમાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરે. કેન્દ્ર દ્વારા અમલી બનાવેલ નવા કૃષિ બિલથી હવે ખેડૂતો પોતે પોતાની પાક ઉપજના ભાવ નક્કી કરશે નહી કે વેપારી તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓના તેમજ રાજકોટના લોધિકા, કોટડા સાંગાણી, ગોંડલ તેમજ કુવાવડાના ખેડૂતો તેમજ આગેવાનો જોડાયા હતા.

(4:56 pm IST)