પાલડીમાં દેરાસરને મંજૂરી અપાતા રહીશો કોર્ટમાં પહોંચ્યા
બાંધકામ રોકવા અરજદારોએ માગ કરી : મંજૂરી વિના જ બાંધકામ શરૂ થયું હોવાનું કોર્ટ સમક્ષ ખુલ્યું મંજૂરી મેળવીને જ બાંધકામ કરવા ટ્રસ્ટે બાંયધરી આપી
અમદાવાદ,તા.૧ : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વસંતકુંજ સોસાયટીમાં કાયદાનું ઉલ્લંઘન કરીને સ્પેશિયલ કેસમાં દેરાસરને મંજૂરી આપવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ છે કે, કોર્પોરેશન સહિતના સત્તામંડળોના નકારાત્મક અભિપ્રાય અને નામંજૂરી છતાં સરકારે આ બાંધકામને પરવાનગી આપી હતી. આ મામલે ૭ ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે, પાલડીમાં આવેલી રહેણાંક સોસાયટી વસંતકુંજ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પ્રતિવાદી રત્નત્રયી આરાધના ભવન ટ્રસ્ટે ભૂતકાળમાં પ્લોટ ખરીદ્યો હતો. ટ્રસ્ટે અહીં જૈન દેરાસર બાંધવાનું શરૂ કર્યું હતું. રહેણાંક સોસાયટીમાં ધાર્મિક બાંધકામ શરૂ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. મંજૂરી વિના જ બાંધકામ શરૂ થયું હોવાનું કોર્ટ સમક્ષ ખુલ્યું હતું. જેથી ટ્રસ્ટે બાંહેધરી આપી હતી કે તેઓ યોગ્ય મંજૂરી મેળવીને જ બાંધકામ કરશે.
૨૦૧૦માં ટ્રસ્ટે રહેણાંક બાંધકામ માટે મંજૂરી માગી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પરવાનગી આપી હતી. તેમ છતાં અહીં ધાર્મિક બાંધકામ ઊભું કરવાની તૈયારી કરાઈ હતી. જ્યારે બાંધકામનો ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાન જોયો ત્યારે ધ્યાનમાં આવ્યું કે, તેમાં રસોડું, ટોઈલેટ સહિતની રહેણાંક મકાનમાં હોય તેવી વસ્તુઓનો અભાવ હતો. આ સાબિત કરતું હતું કે આ બાંધકામ ધાર્મિક જગ્યાનું છે. જેથી ટ્રસ્ટે પોતાના લેટરહેડ પર કોર્પોરેશન પાસે બાંધકામમાં થોડા ફેરફાર-અપવાદોની અને બાંધકામ પૂરું કરવાની મંજૂરી આપવામાં આવે. જો કે, ટ્રસ્ટને ખાતરી હતી કે આ બાંધકામ માટે મંજૂરી મળશે નહીં તેથી તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. જેથી રાજ્ય સરકારના ચીફ ટાઉન પ્લાનરને આ અંગે અભિપ્રાય આપવા કહેવાયું હતું. તેમણે જણાવ્યું કે, આ બાંધકામમાં સી.જી.ડી.સી.આરનો ભંગ થતો હોવાથી મંજૂરી આપી શકાય નહીં.
જો કે, સરકાર ઈચ્છે તો ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ-૨૯ પ્રમાણે, સ્પેશિયલ કેસમાં આ બાંધકામને અપવાદ ગણીને પરવાનગી આપી શકે છે. આ અભિપ્રાયના એક મહિના બાદ રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટીએ ૧૮ જુલાઈ, ૨૦૧૯ના રોજ આ બાંધકામ મંજૂર કર્યું હતું. જાહેરહિતની અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, કલમ-૨૯ હેઠળ કોઈ ખાનગી ટ્રસ્ટને આ પ્રકારે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપીને રાજ્ય સરકાર કાયદાનો ભંગ કરી શકે નહીં. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ અને ગુજરાત કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનનો ભંગ કરીને આ મંજૂરી અપાઈ છે. અરજદારોની માગ છે કે, કોર્ટે બાંધકામ રોકવા માટે આદેશ આપવો જોઈએ.