વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી સાથે ફેસબુકથી મિત્રતા કેળવી શારીરિક સુખ મેળવ્યા બાદ તરછોડી દેનાર નરાધમ યુવક વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી
વડોદરા: શહેરમાં ફેસબુકથી પરિચય થયા પછી યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અઢી વર્ષ સુધી લગ્ન કર્યા વિના બંન્ને પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. ત્યારબાદ યુવક અને તેના પરિવારે લગ્નની ના પાડી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષની યુવતીને લગ્ન પછી પતિ સાથે મતભેદ થતા બંન્ને છૂટા પડી ગયા હતાં અને યુવતી પિયરમાં રહેવા આવી ગઇ હતી. અને ત્યારબાદ ૭મે ૨૦૧૮ ના રોજ યુવતીએ છૂટાછેડા લઇ લીધા હતા.
પરંતુ યુવતી પિયરમાં રહેતી હતી તે દરમિયાન ફેસબુક પર સંજય નામના યુવક સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અને બંન્નેના પરિવારજનો લગ્ન માટે તૈયાર થયા હતાં. પરંતુ સંજયને અગાઉની પત્ની સાથે છૂટાછેડા લેવાના બાકી હોય બંન્નેના લગ્ન થઇ શક્યા નહતા. પરંતુ યુવક-યુવતી બંન્નેના ઘરે જતા આવતા હતાં. યુવકના ઘરે કથા કે પૂજા રાખી હોય તો પણ બંન્ને પતિ-પત્ની તરીકે પૂજા કરવા બેસતા હતાં. સંજય સુરતમાં એકલો રહીને નોકરી કરતો હતો, તેને જમવા સહિતની તકલીફો પડતી હોવાથી યુવતી ત્યાં રહેવા ગઇ હતી. ત્યાં બંન્ને પતિ-પત્ની તરીકે જ રહેતા હતાં. એક વર્ષ સુધી સંજયે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા નહી લેતા યુવતી રિસાઇને પિયરમાં આવી ગઇ હતી. સમાજના લોકોએ મધ્યસ્થી કરી અવારનવાર યુવકના પરિવારને સમજાવવાના કરેલા પ્રયાસો નિષ્ફળ થતા છેવટે યુવતીએ ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં કરી છે. જેના આધારે પોલીસે આણંદ જિલ્લાના અડાસગામે રહેતા યુવક સંજય પ્રવિણભાઇ સાધુ (૨) યુવકના પિતા- પ્રવિણભાઇ (૩) યુવકની માતા મંદાબેન (૪) યુવકનો ભાઇ કોપન અને (૫) યુવકની ભાભી રચના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.