21મીથી GTUની ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષાઃ 8357 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
24 દેશના 153 વિદેશી અને 17 રાજ્યોના 460 ગુજરાત બહારના વિદ્યાર્થીનું પણ રજીસ્ટ્રેશન થયું
અમદાવાદઃ પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાના આયોજન બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)એ ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાની તૈયારી આરંભી છે GTUએ વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માંગણીને માન્ય રાખી. જેના ઉપલક્ષે ડિપ્લોમા, UGઅને PGની જુદી-જુદી 13 શાખાઓના 8357 વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આગામી 21 સપ્ટેમ્બરથી યોજાનારી ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા માટે 24 દેશના 153 વિદેશી અને 17 રાજ્યોના 460 ગુજરાત બહારના વિદ્યાર્થી પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓ મોબાઈલ , ટેબ્લેટ અને લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષા આપી શકશે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠ અને કુલ સચીવ ડો. કે. એન. ખેરે ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વસ્થતા અને નિયમોનુસાર પરીક્ષા આપવા માટે શુભેચ્છા પાઠવી છે.
જીટીયુ દ્વારા પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળ આયોજન પછી બાકી રહેલા વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા તેમજ ઈ-મેઈલ દ્વારા ત્રીજા તબક્કાની પણ ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી કરી હતી. જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓની આ માંગણીને માન્ય રાખીને વિદ્યાર્થીઓ માટેનો હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેના ભાગરુપે જ 3જીથી 8મી સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી હતી.
આ ત્રીજા સપ્તાહની પરીક્ષામાં જીટીયુના ડીગ્રી, ડિપ્લોમા, એન્જીનીયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ/ સેમેસ્ટરની 13 શાખાઓમાં અભ્યાસ કરતા 8357 વિદ્યાર્થીઓની નોંધણી કરાવી છે. આ વિદ્યાર્થીઓની આગામી 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન પરીક્ષા આપશે.
પ્રથમ બન્ને તબક્કાની ઓનલાઇન પરીક્ષામાં 46000 થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષા આપી ચૂક્યા છે. 9920 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના બાકી હતી. આ વિદ્યાર્થીઓ માટે 3જી થી 8મી સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશનની કામગીરી આરંભી હતી. આ કામગીરીના અંતે 8357 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ નોંધણીના અંતે હવે 1,563 વિદ્યાર્થીઓ હજુ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી નથી. તેમના વિશે આગામી દિવસોમાં જીટીયુ દ્રારા વિચારણાં કરવામાં આવશે.
જો કે અગાઉ યુનિવર્સીટીના કુલપતિ ડો. નવીન શેઠે બાકી રહેતાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. હવે આ બાકી રહેતાં વિદ્યાર્થીઓની કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે તેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે તેવી શક્યતા છે.