અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 31 કોરોના પોઝિટિવ મળ્યા
આજે પણ ફરીવાર સૌથી વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 19 પોઝીટીવ કેસ નીકળ્યા
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા સતત ત્રીજા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ ચાલુ રાખ્યું હતું. આજના ત્રીજા દિવસે 1694 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 31 કેસો પોઝીટીવ મળ્યા હતા. જેમા સૈથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના કેસો 19 મળી આવ્યા હતા.
અગાઉના બે દિવસોમાં ટેસ્ટીંગમાં પણ રાજધાની એક્સપ્રેસમાંથી જ વધુ કોરોના પોઝીટીવ કેસો મળ્યા હતા. પ્રથમ દિવસે 26 અને બીજા દિવસે 13 પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. સરવાળે ત્રણ દિવસમાં માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી કુલ કોરોના પોઝીટીવ કેસો 58 મળી આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્રારા બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ટેસ્ટીંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝીટીવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતીત થતો હોવાની સાથોસાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.જેના ભાગરૂપે જ આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.જેમાં ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 336 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાતેમાંથી 8 પોઝિટિવ કેસો મળ્યા હતા.
તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 818 પ્રવાસીઓમાંથી 19 અને મુઝફરપુર સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 540 પ્રવાસીઓની ચકાસણીમાં 4 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.આમ સરવાળે કુલ 1694 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટીંગ કરાયું હતું.જેમાં 31 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.