અમદાવાદમાં કિસ્સો : મા-બાપને કોરોના થતા પુત્ર પત્નીને પિયરથી તેડી લાવ્યો: સાજા થયા પછી મારકૂટ
બેન્ક કર્મચારી મહિલાએ વટવા GIDCમાં કારખાનેદાર પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી
અમદાવાદઃ મા-બાપને કોરોના થતા પુત્ર પિયર ગયેલી પત્નીને ઘરે લઇ આવ્યો હતો. માતા પિતા સ્વસ્થ થતાં જ પતિએ ફરી પત્નીને મારવાનું શરૂ કર્યું હતું. આરોપીએ પત્નીને એટલી મારી કે પાંસળીમાં ઈજાઓ થઈ હતી. બેન્કમાં નોકરી કરતી યુવતીએ આખરે થાકી વટવા જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મણિનગર ખાતે રહેતી પલ્લવી કાંકરિયાની એ.યુ.સ્મોલ બેંકમાં નોકરી કરે છે. પલ્લવીએ તેના પતિ જયદીપ પંચાલ,સસરા નગીનભાઈ અને સાસુ નિતાબહેન તમામ રહે,ત્રિપદા સોસાયટી,ગોરનો કૂવો,ખોખરા વિરુદ્ધ ફરિયાદ કરી છે.
બનાવની વિગત મુજબ આજથી અઢી વર્ષ અગાઉ પલ્લવીએ વટવા GIDCમાં બ્લેક સ્મીથ વુવન કનવઝર્ન નામે પ્રા.લી. કારખાનું ધરાવતાં જયદીપ પંચાલ સાથે લવ મેરેજ કર્યા હતા. બાદમાં સાસુ સસરાના વિરોધથી અલગ ભાડે મકાન રાખી રહેતાં હતાં. દરમિયાન પલ્લવીના મમ્મીને ફ્રેક્ચર થતા તે પિયર ગઈ હતી. પલ્લવીની જાણ બહાર તેના પતિ જયદીપે ભાડાનું મકાન ખાલી કરી દીધું હતું. તે માતા પિતા જોડે રહેવા જતો રહ્યો હતો. ત્યાર બાદ પલ્લવી સાસરીમાં ગઈ ત્યાં સાસુ સસરા નીચે તેમજ પલ્લવી તેના પતિ સાથે ઉપરના માળે રહેતી હતી.
દરમિયાન પલ્લવીની તબિયત લથડતા પતિ અને સાસુએ “તું કાયમ બિમાર જ રહે છે,તારું કઈ કામ નથી”તેમ કહી મારઝૂડ કરી પલ્લવીને કાઢી મૂકી હતી. પલ્લવી તેના પિયરમાં જતી રહી હતી.
આજથી બે માસ અગાઉ સાસુ-સસરાને કોરોના થતાં જયદીપ પત્ની પલ્લવીને પિયરથી લઈ આવ્યો હતો. જોકે સાસુ સસરા સ્વસ્થ થતાં જ તમામે ફરી ભેગા મળી પલ્લવીને ત્રાસ આપવાનો શરૂ કરી મારઝૂડ કરી હતી. પતિ જયદીપના મારને કારણે પલ્લવીને પાંસળીમાં ઈજા થઈ હતી.પતિ વિરુદ્ધ લેખિત અરજી કર્યા બાદ ઘરસંસાર તૂટે નહીં માટે પત્ની પલ્લવીએ સમાધાન કર્યું હતું.