ગુજરાત
News of Wednesday, 16th September 2020

17 મી સપ્ટેમ્બરે નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર પીએમ મોદીને જન્મદિવસ ની અનોખી ભેટ આપશે

આ સિઝનમાં પહેલી વખત ડેમ પૂરેપૂરો ભરાયો છે.હાલ ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચશે.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધ છલો છલ ભરાઈ ગયો છે.આ સિઝનમાં પહેલી વખત ડેમ પૂરેપૂરો ભરાયો છે.હાલ ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચશે.

 નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ ડેમ પર ગોઠવાઈ ગયા છે.ઉપર વાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.જોકે આખે આખો ડેમ ભરાઈ જતા સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી ડેમના દરવાજા ખોલાઈ શકે છે.ડેમ ભરાઈ જતા ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા નહિ રહે.

 સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 99630 ક્યુસેક છે પાણીની જાવક 3454 ક્યુસેક છે. રિવર બેડ પાવર ના 6 યુનિટ સતત ચાલતા 34,766 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.હાલ મુખ્ય કેનાલમાં 13 500 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5534 મિલીયન ક્યુબીક મીટર થયો છે.માટે આવનારા બે વર્ષ માટે નર્મદા બંધ માંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.નર્મદા બંધ હાલમાં 99.99 ટકા ભરાઈ ગયો.

 પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું.ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 70 માં જન્મદિવસ 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ડેમ લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરવામાં આવશે.

 આમ નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.આગામી 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને ગુજરાત સરકાર જન્મદિવસ ની અનોખી ભેટ આપશે.સાથે સાથે એ જ દિવસે સીએમ રૂપાણી ગાંધીનગર ખાતે પોતાની ઓફિસ માંથી ઓન લાઈન અન્ય મંત્રીઓની ઉપસ્થિતિ માં નર્મદા નીરના વધામણાં કરી પૂજા અર્ચના કરશે.

(3:45 pm IST)