વસ્ત્રાપુરમાં રિલાયન્સ જિયોના નેટવર્કમાં લાગેલા છ ટાવરમાંથી રેફ્ટીફાયરની ચોરી
ત્રણ દિવસ દરમ્યાન ૧૨ રેકટીફાયર રૂ. ૧.૨૦ લાખની મતાની ચોરી
અમદાવાદ,શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રિલાયન્સ કંપનીના jioના નેટવર્કમાં તકલીફ આવતા કંપનીના દ્વારા તપાસ કરતા જુદા-જુદા સ્થળે લાગેલા ૬ ટાવરમાંથી રેક્ટીફાયરની ચોરી થઇ હતી. જેના કારણે નેટવર્ક બંધ થયા હતા. ત્રણ દિવસ દરમ્યાન ૧૨ રેકટીફાયર રૂ. ૧.૨૦ લાખની મતાની ચોરી થયા હતા. જેથી કોન્ટ્રાક્ટરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.રિલાયન્સ jio પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ટાવર લગાવવાનો કોન્ટ્રેક્ટ ધરાવતી પ્રતાપ ટેકનોગ્રેક્સ કંપની પાસે છે. કંપનીમાં એન્જીનિયર તરીકે નિલકંઠ જોશી ફરજ બજાવે છે. તા.૧૩થી ૧૫ના ત્રણ દિવસ દરમિયાન તેમના લેપટોપ મારફતે જાણ થઈ હતી કે, વસ્ત્રાપુર વિસ્તારમાં લાગેલા ટાવરમાં નેટવર્ક મળતું ન હતું. આ ફરિયાદને લઈ તેઓએ ઉદગમ સ્કૂલ, એજ્યુકેશન સોસાયટી પ્લોટ, સરકારી વસાહત બસ સ્ટેન્ડ, પ્રકાશ સ્કૂલ સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર તળાવ સંજીવની હોસ્પિટલ અને તુલસી પબ્લિક પાર્ક જીવનદીપ બસ સ્ટેન્ડ પાસે લાગેલા ટાવરોમાં નેટવર્ક ન હોવાથી રૂબરૂ જઈ ચેક કર્યા હતાં. તમામ ટાવરની ઉપર લગાવેલા નાના દરવાજાનું તાળું તોડી તસ્કરો કુલ ૧૨ જેટલા રેક્ટીફાયર રૂ.૧.૨૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.કંપનીના ઉચ્ચ અધિકારીઓને નિલકંઠ જોશીએ જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.