કલાઇમેટ ચેન્જ વિભાગનો આજે ૧૨મો સ્થાપના દિવસ : વિજયભાઇના હસ્તે ૧૦ સંસ્થાઓ સાથે MoU
વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક 'બિલ્ડિંગ અ કલાઈમેટ રેસીલીયન્સ ગુજરાત : અ ડીકેડ ઓફ કલાઈમેટ એકશન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફયુચર'નું ઇ-લોકાર્પણ : હવામાન ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ હાથ ધરેલા સંશોધનો તેમજ આનુસંગિક માહિતી રાજયના હિતમાં ઉપયોગ કરવા કલાઈમેટ ચેન્જ વિભાગનો સંકલ્પ : દેશ વિદેશના તજજ્ઞો ઇ-પ્લેટફોર્મના માધ્યમથી ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કરશે : આ કાર્યક્રમની લિંક કલાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકાશેદ
રાજકોટ તા. ૧૭ : કલાઈમેટ ચેન્જ વિભાગ તેની સ્થાપનાના ૧૧ વર્ષ આજે પૂર્ણ કરી રહ્યું છે. દીર્ઘદષ્ટિ ધરાવતા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કલાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. આ વિભાગના ૧૨મા સ્થાપના દિવસ નિમિત્ત આવતીકાલે બપોરે ૦૩-વાગ્યે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કલાઇમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના હેતુસર વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક 'બિલ્ડિંગ અ કલાઈમેટ રેસીલીયન્સ ગુજરાત : અ ડીકેડ ઓફ કલાઈમેટ એકશન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફયુચર'નું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ વિભાગ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સ્થાનિક કક્ષાએ કામગીરી કરી રહ્યું છે. આ તમામ સંસ્થાઓ સાથેના સંબંધો મજબૂત કરવા તથા નામાંકિત સંસ્થાઓએ હાથ ધરેલા સંશોધનો તેમજ આનુષંગિક માહિતી રાજયના હિતમાં ઉપયોગમાં આવે તે હેતુથી વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છે. જેમાં (૧) ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ - ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેકનોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિકસના ઉપયોગ દ્વારા કલાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી. (૨) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે કલાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન કલાઈમેટ ફાયનાન્સ અને કલાઈમેટ પોલિસીની બાબતો.(૩) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર સાથે કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણ વિષયમાં ક્ષમતા નિર્માણ, સંશોધન અને વૈજ્ઞાનિક માહિતીની લોકઉપયોગીતા વધારવા બાબતે. (૪) ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા બાબતે. (૫) મુખ્ય નગર નિયોજક સાથે મકાનોમાં ઊર્જા બચત અંગેનો બિલ્ડિંગ કોડ બનાવવા બાબતે. (૬) ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કલાઈમેટ ચેન્જ વિષયની જન જાગૃતિ વધારવા અંગે. (૭) ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની સાથે સખી મંડળો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન તથા પર્યાવરણ ક્ષેત્રમાં આજીવિકા મળે તેવા પ્રોજેકટો હાથ ધરવા બાબતે. (૮) આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે ગોબરમાંથી બાયોગેસ મેળવવા તથા ખેતીમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરી બિન પરંપરાગત ઊર્જા મેળવવાની તકનિકોમાં સંશોધન કરવા અંગે. (૯) ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન સાથે બાયો ટેકનોલોજીના વપરાશ દ્વારા કલાઈમેટ ચેન્જ શમન અને પુનઃપ્રાપ્ય બળતણના સંશોધન અંગે. (૧૦) શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ સાથે કલાઈમેટ ચેન્જ સંશોધનોનો વ્યાપ ઉચ્ચ શિક્ષણમાં વધારવા માટે. આમ, આ ૧૦ નામાંકિત સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
સમગ્ર કાર્યક્રમ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈ-પ્લેટફોર્મ ઉપર આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં દેશ વિદેશના તજજ્ઞો ઓનલાઇન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કરેલ. આ કાર્યક્રમની લિંક કલાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે તેમ વધુમાં જણાવાયુ છે.