ધો.૧૧-૧૨ના વિદ્યાર્થીઓ માટે તા.૨૬થી તૃતીય એકમ કસોટી
ધો.૧૧-૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રી - ફીઝીકસ અને સામાન્ય પ્રવાહમાં વાણીજ્ય, આંકડાશાસ્ત્ર અને અંગ્રેજી વિષયની કસોટી લેવાશે
રાજકોટ, તા. ૧૭ : ધો.૧૧-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં તા.૨૬ થી તૃતીય એકમ કસોટી લેવામાં આવશે.
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને રાખીને હાલ ગુજરાતભરમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણ અંતર્ગત ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે દર માસે એકમ કસોટીનું આયોજન થાય છે. ચાલુ વર્ષે ધો.૧૧ અને ધો.૧૨ની તૃતીય એકમ કસોટીની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે તા.૨૬થી તા. ૨૯ સપ્ટેમ્બર દરમિયાન લેવાશે.
કોરોનાના કહેર વચ્ચે ઓનલાઈન એજ્યુકેશન વિદ્યાર્થીઓને ઘરે બેઠા આપવામાં આવી રહ્યુ છે. આ ઓનલાઇન એજ્યુકેશનમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયમીત રીતે કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થયો છે. દરેક વિષય ૨૫ ગુણનું પ્રશ્નપત્ર અને એક કલાકનો સમય રહેશે. જયારે ધો.૧૧-૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવહાર, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી વિષયની એકમ પરીક્ષા લેવાશે. તા. ૨૩ના દરેક જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અન્ય પ્રશ્નપત્ર મોકલશે.