સુરત કોર્પોરેશનમાં પતરા લગાવવાના કૌભાંડનો પર્દાફાશઃ આરટીઆઇમાં ખુલાસો થતા ખળભળાટ
અમદાવાદઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ પતરા લગાવવાનું કૌભાંડ છે. આ કૌભાંડ 25 લાખનું હોવાનું મનાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આમ કૌભાંડમાં એક પછી એક નવા વિક્રમ લગાવી રહ્યુ છે. આ પતરાનું કૌભાંડ 25 લાખનું હોવાનો તો પ્રારંભિક અંદાજ જ છે. બીજા શબ્દોમાં કહીએ તો તેને પાશેરામાં પહેલી પૂણી જ કહી શકાય. હવે જો તપાસ થાય તો તેમાથી અનેક ફણગા ફૂટી નીકળે તેમ છે.
આ કૌભાંડનો પર્દાફાશ આરટીઆઇમાં થયો હતો. તેમા શહેરના મધ્ય ઝોનની વિગતો જ માંગવામાં આવી છે. આ આરટીઆઇમાં સામે આવ્યું હતું કે કેસ પતરા માટે રનિંગ ફૂટે 9થી 15 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ચાર ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ ચોરસ ફૂટે ગણવામાં આવે છે. તેના માટે મનપા દ્વારા પ્રતિ ચોરસ ફૂટ 10 રૂપિયા ચૂકવાયા હતા. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને મનપાએ 9 એપ્રિલથી 10 જુન સુધી 6,92,292 રૂપિયા ચૂકવ્યા હતા. આ સિવાય કેટરર્સને બીજા બિલથી નાણા ચૂકવાયો હોવાનો ખુલાસો થયો હતો. આમ સુરત મનપામાં ખીચડી-કઢી બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.