અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેસર સંદર્ભે કલેકટરના આદેશો : મામલતદારો - સ્ટાફને હેડ કવાર્ટર છોડવું નહિ
જિલ્લાના તમામ યાર્ડને પણ એલર્ટ કરાયા : ખુલ્લામાં એક પણ જણસ - મગફળી - કપાસ રાખવા નહિ
રાજકોટ તા. ૧૭ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસર અને આગામી ૨૪ થી ૪૮ કલાકમાં વેલમાર્ક લો પ્રેસરમાં ફેરવાય તેવી શકયતા જોતા જિલ્લા કલેકટર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાયાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.
તેમણે જણાવેલ કે, શહેર - જિલ્લાના તમામ મામલતદાર - પ્રાંત તથા સ્ટાફને હેડ કવાર્ટર નહી છોડવા અને ભારે - મધ્યમ વરસાદ સમયે પોતાના વિસ્તારોમાં લાઇટ - પાણી સહિતની તમામ સુવિધા ખાસ જોવા કલેકટરે આદેશો કર્યા છે.
દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, સ્ટાફને હેડ કવાર્ટર નહી છોડવા ઉપરાંત જિલ્લાના તમામ યાર્ડોને પણ પત્ર પાઠવી ખુલ્લામાં મગફળી - કપાસ સહિતની એક પણ જણસ નહિ રાખવા અને તકેદારીના તમામ પગલા લેવા કહેવાયું છે. એ ઉપરાંત જિલ્લાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને પુરવઠા તંત્રને પણ ખાસ એલર્ટ કરાયું છે.