ગુજરાત
News of Friday, 22nd January 2021

ગાંધીનગર નજીક બહિયલ પાસે મુસાફરો ભરેલ રીક્ષા પલ્ટી ખાતા ત્રણ મહિલા મુસાફર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે બહિયલ પાસે ગત મંગળવારની રાત્રે મુસાફરો ભરેલી રીક્ષા પલટી જતાં તેમાં સવાર ત્રણ મહિલાઓને ઈજાઓ થતાં સારવાર માટે દહેગામ ખસેડવામાં આવી હતી અને જયાંથી એક મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાઈ હતી. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે દહેગામ પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે. 

ઘટના અંગે બહિયલ ગામે રહેતા રાવજીભાઈ બબાભાઈ વાદીએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ગત મંગળવારે સાંજના સમયે તેમના ભાભી મંગુબેન તથા મધુબેન અને ગીતાબેન ગામના રીક્ષાચાલક સંજયભાઈ દેવીપુજકની રીક્ષા લઈને મોટા ચિલોડા ખાતે મધુબેનની દીકરી મેનાબેનને લેવા માટે ગયા હતા. રાત્રીના સમયે તેમની રીક્ષા બહિયલ નજીક પહોંચી ત્યારે આ રીક્ષા પલ્ટી ગઈ હતી અને જેના પગલે પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. જયા મંગુબેનમધુબેન અને ગીતાબેનને ઈજાઓ પહોંચતા દહેગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં મંગુબેનને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલનસ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન ગઈકાલે સવારના સમયે મંગુબેનનું મોત નીપજયું હતું. જેના પગલે દહેગામ પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:00 pm IST)