વડોદરામાં રાત્રિ કર્ફ્યુના અમલ પહેલા મોટી કાર્યવાહી : નિયમનું પાલન નહીં કરતી ૨૦ જેટલી દુકાનો સીલ કરાઈ
સવારે ચા-નાસ્તાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં
વડોદરા : ,શહેરમાં રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ કરાઈ પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બગીચા ખુલ્લા રાખવામાં આવ્યા તેમાં અગાઉ ૮ કલાક બગીચા ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું.પરંતુ આજે સવારથી સમયમાં ઘટાડો કરી સવારે ૬થી નવ અને સાંજે ચારથી આઠ દરમિયાન બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કડક અમલ થાય તે અંગે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી. એ અધિકારીઓની બેઠક બોલાવી દરેક વોર્ડ કક્ષાએ ટીમ બનાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા વાહનો ઉપર માઇક લગાવી પ્રસારણ કરવાની સૂચના આપી હતી. જે આધારે આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા અને બોર્ડના અધિકારીઓની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું અમલ કરાવવા ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન સવારે ચા-નાસ્તાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નહીં હોવાનું જણાતા ૨૦ દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી.