પોલીસ ઉપર હુમલાના ૧૪ કિસ્સાઓમાં ૧૬ ઈસમો ઝડપાયાઃ ૪ આરોપીઓ ઝડપી લેવાશે
કોંગી ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ પુછેલા પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીનો જવાબ
(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજયમાં વિદેશ દારૂ લઈ આવતા ઈસમો દ્વારા પોલીસ પર કરવામાં આવેલ હુમલા અંગે મહંમદ જાવેદ પીરઝાદાના પ્રશ્નના ઉત્તરમાં રાજય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તા.૩૧/૫/૨૦ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજયમાં અન્ય રાજયોમાંથી વિદેશી દારૂ લઈ આવતા ઈસમો દ્વારા પોલીસ ઉપર હુમલા કરવામાં આવ્યા હોવાના બનાવો બન્યા છે.
આ પ્રકારના બનેલા બનાવોમાં પોલીસ પર હુમલાના ૧૪ કિસ્સા બન્યા છે.
જેમાં ૧૫ પોલીસને ઈજાઓ થયેલ છે.
આ બનાવોની તપાસ દરમ્યાન કુલ ૧૬ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
જયારે ૪ કિસ્સાઓમાં આરોપીઓ પકડાયા નથી, જેમાં એક આરોપીએ આગોતરા જામીન મેળવ્યા હોય તેમજ અન્ય આરોપીએ ગુનો આચરીને નાસતા ફરતા હોય પકડવાના બાકી છે.
આ ગુનેગારો બને તેટલા ઝડપથી પકડવામાં આવશે. કોઈને પણ છોડવામાં આવશે નહિ. તેમ જણાવ્યું હતું.