ગુજરાત
News of Friday, 25th September 2020

પતિની આત્મહત્યાના કેસમાં પોલીસે પત્નીની ધરપકડ કરી

થોડા દિવસ પહેલા પતિએ આત્મહત્યા કરી હતી : બેવાર લગ્ન અને ત્રણ પ્રેમની કબૂલાત કરનારી પત્નિના સંબંધોની જાણ થતા પતિએ આત્મહત્યા કરી લીધી હતી

અમદાવાદ,તા.૨૫ : અમદાવાદમાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી તે ગુનામા પોલીસે પત્નિ અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. જોકે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી પરિવારના સંબંધો નેવે મુકી ચુકી હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ બનાવ બાદ બે પરિવાર અને તેના બાળકોના ભવિષ્યનુ શુ તે મોટો સવાલ છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ૧૪ દિવસ પહેલા ભરત મારુ નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ બાદ પોલીસે આત્મહત્યા માટે જવાબદાર પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. પોલીસે પ્રેમી જિગ્નેશ મકવાણા અને પત્નિ દક્ષા મારુની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી પત્નિએ કરેલા ખુલાસા બાદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.આરોપી પત્નિ દક્ષાની પુછપરછ કરતા સામે આવ્યુ કે દક્ષા અગાઉ પણ પ્રેમ ના ખેલ ખેલી ચુકી છે.

            દક્ષાના લગ્ન ૧૦ વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે થયા હતા. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષા ગારિયાધારના એક યુવકના પ્રેમમા છે જેથી તેમના છુટાછેડા થયા. બાદમા ૯ વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી ત્યારે તેનો સંબંધ મૃતક ભરત મારુ સાથે થયો હતો. બાદમા તેમના લગ્ન પણ થયા અને ૩ વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા ૩ મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમા હતી અને તેની જાણ થતા દક્ષાના પતિ ભરત મારુએ આત્મહત્યા કરી હતી. પતિની આત્મહત્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા પત્નિ અને પ્રેમીની ધરપકડ કરી છે પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભરતનુ મોત નિપજ્યું છે. દક્ષા તેની સજા જેલમા કાપશે. સાથે તેનો પ્રેમી પણ જેલમા જશે. જોકે દક્ષાનો ૩ વર્ષનો પુત્ર અને પ્રેમના પોતાની પત્નિ અને બે બાળકોનુ ભવિષ્ય જોખમમા મુકાયું છે કારણ કે ૩ બાળકો પરથી માતા પિતાની છાયા છીનવાઈ છે. ત્યારે આ કેસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સંબંધના ખેલમા બે પરિવાર વિખેરાઈ ગયા છે.

(7:26 pm IST)