ગુજરાત
News of Sunday, 25th October 2020

રિક્ષા તળાવમાં ખાબકતા નવજાત સહિત ત્રણના મોત

પ્રસૂતી બાદ ઘરે આવતી વખતે રિક્ષા તળાવમાં ખાબકી : શિશુના મોતથી માતા બનેલી મહિલા ફરીવખત નિસંતાન

દાહોદ,તા.૨૫ : દાહોદમાં ઓટો રિક્ષા ૩૦ ફૂટ ઊંડા તળાવ ખાબકતા નવજાત શિશુ સહિત ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે નવજાત બાળકની માતા અને અન્ય બે મહિલાને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મહિલા પ્રસુતિ કરાવીને ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં જ અચાનક અકસ્માત સર્જાતા નવજાત બાળક સહિત ૩ બાળકોના મોત થયા હતા. એક સાથે ત્રણ બાળકોના મોતથી આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવમાં આજે સવારે ઓટો રિક્ષા ખાબકતા નવજાત સહિત ૩ બાળકના મોત નીપજ્યા છે, જ્યારે ૩ મહિલાઓનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ દાહોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદથી નવજાત સહિત ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

                  જ્યારે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આમ બાળકના જન્મ થયાના કલાકોમાં ખુશી છીનવાઈ ગઈ. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાહોદના ચોસાલા ગામની મહિલા ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયામાં પ્રસૂતિ ડિલિવરી માટે ગયા હતા. જ્યાં મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો, તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો. ત્યારપછી આજે જ્યારે મહિલા રિક્ષામાં પરત ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં નાનીડોકી ગામે ૩૦ ફૂટ ઊંડા તળાવમાં રિક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ૩ મોતને ભેટ્યા હતા. આમ કલાકો પહેલા માતા બનેલી મહિલા ફરીથી નિઃસંતાન બની ગઈ હતી, એક સાથે ત્રણ બાળકોના મોતને પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.

 

(7:30 pm IST)