અમદાવાદમાં એસિડ એટેકની બીજી ઘટના : વેજલપુરમાં પાંચ સંતાનના પિતાએ પત્ની પર એસિડ ફેંક્યો: માતા-પુત્રી ગંભીર
એસિડ શારદા બહેનના મો, પુત્રી જયા અને ત્રણ પુત્રોના હાથ પર પડ્યો
અમદાવાદઃ બાપુનગરમાં પિતાએ પત્ની અને પુત્રી પર એસિડ ફેકયાની ઘટના બાદ એસિડ એટેકની વધુ એક ઘટના વેજલપુર વિસ્તારમાં બની છે. પાંચ સંતાનના પિતાએ પત્ની પર એસિડ ફેંક્યો હતો. એસિડ એટેકમાં માતા પુત્રી ગંભીર દાઝ્યા જ્યારે ત્રણ પુત્રોને સામાન્ય ઈજા થઈ હતી.
વેજલપુર પાણીની ટાંકી પાસે એકલદેવનગરમાં રહેતાં બાબુભાઇ જગદીશભાઈ ઠાકોરના પરિવારમાં પત્ની શારદાબહેન, બે પુત્રી રેખા અને જયા તેમ ત્રણ પુત્ર વિષ્ણુ, કરણ અને અર્જુનનો સમાવેશ થાય છે. 25 વર્ષીય પુત્રી રેખા તેની સાસરીમાં કડી ખાતે રહે છે, જ્યારે નાની પુત્રી જયાના છૂટાછેડા થઈ ગયા હોવાથી તે માતા સાથે પિયરમાં રહે છે.
પતિ બાબુ ઠાકોર અને તેની પત્ની શારદાબહેન વચ્ચે અવારનવાર ગૃહકલેશ થતો હતો. બાબુભાઈ પત્ની સાથે અવારનવાર મારઝૂડ અને તકરાર કરતો હતો. પત્ની કોઈ સાથે વાતચીત કરે તો શંકા રાખી મારઝૂડ કરતો હતો. પતિ પત્ની વચ્ચેની અવારનવારની તકરારને પગલે મકાન માલિક ઘર ખાલી કરવી નાંખશે તેવા ડરથી પત્ની અને સંતાનો બાબુભાઈને ઘરમાં આવવા દેતા ન હતા.દશેરાના દિવસે શારદાબહેન અને પુત્રી જ્યા ફાફડા-જલેબી લેવા માટે ગયા હતા. બાબુભાઈએ દુકાન પર જઈ શારદાબહેનને માર માર્યા હતા. બાદમાં ઘરે જઈને પણ પત્નીને મારમારી હતી. પુત્રએ પોલીસ બોલાવી છતાં શારદાબહેનએ પતિ પર કેસ કરવાનું માંડી વાળ્યું હતું.
સોસાયટીમાં મોડી રાત્રિના 3 વાગ્યા સુધી ચાલતા ગરબા જોઈ શારદાબહેન અને સંતાનો સૂઈ ગયા હતા. દરમિયાનમાં પરોઢે અચાનક શારદાબહેનએ બુમાબુમ કરતા પુત્રે બારી તરફ જોયું તો પિતા બાબુભાઇ ભાગતા જોવા મળ્યા હતા. બીજી તરફ શારદાબહેનના મોં અને શરીર પર તેમજ પુત્રી જયાના હાથ પર એસિડ જેવુ કેમિકલ પડ્યું હતું. આ એસિડના છાંટા ત્રણ પુત્રોના હાથ પર પણ પડ્યા હતા.
બનાવને પગલે ગંભીર ઇજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વેજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપી બાબુભાઈ જગદીશભાઈ ઠાકોરની શોધખોળ હાથ ધરી છે.