ગુજરાત
News of Sunday, 27th September 2020

મારી સરકાર આવશે તો 100 દિવસમાં દારુ પરનો પ્રતિબંધ હટાવી લઇશ: શંકરસિંહ વાઘેલાનું વચન

બાપુએ દારુ પરથી પ્રતિબંધ હટાવવાઅભિયાન શરૂ કર્યું : મારી વખતે ગઠબંધનને કારણે ન કરી શકયા પરંતુ હજુ મોડું થયું નથી

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા પ્રજા શક્તિ મોરચાના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારુ પરનો પ્રતિબંધ હટાવવાની ચળવળ શરૂ કરીને ચૂંટણીની તૈયારીઓ પણ કરી લીધી હોય તેમ જણાય છે. તેની સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે. તો કોંગ્રેસે તેમના દારુ પરનો પ્રતિબંધ હટાવવામાં રોકયા હોવાનું જણાવ્યું છે.

રવિવારે શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર જણાવ્યું છે કે, 1996/97માં મારી સરકાર સમયે દારુબંધી હટાવવા તરફ અમે આગળ વધ્યા હતા. પરંતુ તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીએ તે નિર્ણય સાથે અસંમત થતાં અને અમારી ગઠબંધની સરકાર હતી. માટે પરિણામ તરફ પહોંચી શક્યા ન હતા. જો કે હજુ મોડું થયું નથી. હું આ મુદ્દે કટિબધ્ધ છું અને સરકાર આવ્યાના 100 દિવસની અંદર જ દારૂબંધી હટાવવાનો નિર્ણય લઇશું.

ગુજરાતમાં દારુ પરથી પ્રતિબંધ હટાવવા માટે શંકરસિંહ વાઘેલાએ AgainstLquorBanChallenge અભિયાન સોશિયલ મિડીયા પર શરૂ કર્યું છે. તેના અસંખ્ય ચાહકો તેમાં જોડાયા છે. શંકરસિંહ વાઘેલાએ આજે વર્લ્ડ ટુરિઝમ ડે છે. આપણે વિચારીએ કે ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે પાછળ કેમ છે. આપણે કેમ અન્ય રાજય કે દેશની માફક પ્રવાસીઓને આકર્ષી શકતા નથી. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ આવક તથા એમ્પ્લોઇમેન્ટ માટે શ્રેષ્ઠ છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, દારુબંધી હટશે તો લુખ્ખા તત્વો આઝાદ નહીં થઇ જાય, દારુબંધી ને કારણે જ તેઓનો ધંધો ચાલે છે. અને સરકાર સાથેની સાંઠગાંઠના કારણે તેઓ નિર્ભય છે. બાકી આ બાપુની રાજપા સરકાર હતી જેમાં લતીફને સરરાજાહેર એન્કાઉન્ટર કરી દાખલો બેસાડવામાં આવ્યો હતો. અને મહિલાઓ સાથે અત્યાચાર પણ નહીં થાય. જે 70થી 80 ટકા પોલીસની મહેનત દેખાડા માત્ર દારૂ પકડવાના ટાર્ગેટમાં જાય છે. તેમ છતાં સરકાર સાથેની સાંઠગાંઠના કારણે દારૂનો ધંધો ધૂમ ચાલે છે. બાપુની સરકારમાં પોલીસ આધુનિક, તણાવ મુક્ત અને સશક્ત બનશે અને લુખ્ખા તત્વોમાં સરકારનો ભય કરી કડક હાથે કાર્યવાહી કરાશે.

તેમણે વધુમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે દારૂબંધી હટશે તો દારૂ પીને કોઇ રસ્તા પર નહીં ફરતા હોય. દારુબંધી હટાવવાનો મતલબ સંપૂર્ણ છૂટ નથી, તમામ પક્ષ ધ્યાનમાં રાખતાં એક્ષ્પર્ટ કમિટીની સલાહ પર અને અન્ય રાજય દેશના સફળ મોડલનું અધ્યયન કરીને નવા કડક નીતિ અને નિયમો બનાવવામાં આવશે.

(11:33 pm IST)