ગુજરાત
News of Tuesday, 27th October 2020

રાજપીપળા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને રાજપૂત સમાજના આગેવાન અલકેશસિંહ ગોહિલનું નિધન : પરિવારમાં શોકની લાગણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી અધ્યક્ષ એવા રાજપૂત સમાજના અગ્રણી અને સમાજ સેવક અલકેશસિંહ ગોહિલ 54 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તેમનું નિધન થયું છે. ગત રાત્રીના તેમના મૃત્યુના સમાચાર મળતા રાજપીપળા શહેર અને રાજપૂત સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમની અંતિમક્રિયા રામપુરા નર્મદા મૈયાના કિનારે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. 

 સ્વ.અલકેશસિંહ ગોહિલની રાજપીપળા શહેરમાં ભાજપના અગ્રણી નેતાઓમાં તેમની ગણના થાય અને સામાજિક કામગીરી માટે પણ તેઓ હંમેશા તત્પર રહેતા. પાલિકામાં તેમના શાસનમાં કરોડોના વિકાસના કામો હેરિટેજ ગેટથી લઈને રાજપીપળા શહેરનો રજવાડી પ્રવેશ દ્વાર પણ તેમણે બનાવ્યા હતા. આ સાથે પાણીની સુવિધાથી લઈને રાજપીપળા નગરમાં રાત્રી સફાઈ,પાલિકાને કચરાપેટી મુક્ત બનાવ્યું આવા અનેક લોક ઉપયોગી અને સેવાના કામો તેમણે કર્યા છે.તેમના પિતા એક પ્રોફેસરની ભૂમિકા સાથે પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે પ્રમુખ તરીકે પાલિકાનું સુકાન સંભાળ્યું હતું. હવે તેમની ત્રીજી પેઢી એટલે કે તેમનો પુત્ર કુલદીપસિંહ ગોહિલ પણઆગામી ચૂંટણી લડવાનો હોવાનું જાણવા મળ્યું છે. તેમની આમ ઓચિંતી વિદાય તેમના સમાજ ને રાજપીપળા શહેરને અને ચૂંટણીમાં ભાજપ ને ચોક્કસ વર્તાશે.આમ અલકેશસિંહ ગોહિલ જેવા એક સનિષ્ટ અને કર્મઠ આગેવાન ભાજપે ગુમાવ્યો છે ત્યારે ભાજપમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

(9:44 am IST)