મહામારી વચ્ચે પણ લોકહિત કાર્યોની ગતિ ગુજરાતે જાળવી રાખી
સુરેન્દ્રનગરમાં ૯ કરોડના ખર્ચે ભોગાવો નદીના કાંઠે બનાવાયેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઇ-લોકાર્પણ કરતા વિજયભાઇ : શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજીત ૧ર.૬પ કરોડના ખર્ચે નિર્માણ થનાર સી.સી. રોડ અને રોડ નવિનીકરણ કાર્યનું પણ ઇ-ખાતમુર્હુત : ૪૮૦ આવાસોના લાભાર્થીઓને ફાળવણી
અમદાવાદ, તા. ર૩: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ નગરપાલિકા દ્વારા રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે નિર્માણ કરવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ તેમજ અંદાજિત રૂપિયા ૧૨.૬૫ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર શહેરમાં નિર્માણ પામનાર સી. સી. રોડ તેમજ રોડ નવિનીકરણના કાર્યનું ઈ-ખાતમુર્હૂત કર્યું હતુ. આ તકે તેમણે આર. એ. વાય. યોજના અંતર્ગત નિર્માણ પામેલ ૪૮૦ આવાસોના લાભાર્થીઓને કોમ્પ્યુટર ડ્રો દ્વારા આવાસની ફાળવણી પણ કરી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, લોકહિતને વરેલી આ સરકારે આંખના પલકારામાં જ લોક હિત માટેના અનેક નિર્ણયો કરીને લોક સુખાકારી માટેની ઝડપી નિર્ણય શકિતના દર્શન કરાવ્યા છે. આ સંદર્ભમાં તેમણે વિધાનસભાના પાંચ દિવસમાં જ પાસ કરવામાં આવેલ ૨૦ બિલનો ઉલ્લેખ કર્યો હતો.
તેઓએ કહ્યું કે હરેક માનવીને દ્યરના દ્યરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદ રૂપ બની છે.
રાજયના ગરીબ, વંચિત, શોષિત અને દ્યરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં અનેક આવાસોનું નિર્માણ કર્યું છે. આ માટે આવા આવાસો ગરીબ, અંત્યોદય પરિવારોને આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને તેમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે પ્રાથમિકતા આપી છે.
ે સમગ્ર વિશ્વમાં કોટનના ઉત્પાદનનું કેન્દ્ર બનેલા સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાઈ રહેલા આંતર માળખાકિય વિકાસના કાર્યો એ આવનારા દિવસોમાં આ જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં સાંસદ ડો. મહેન્દ્રભાઈ મૂંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીન ટોળિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.ર્ી
મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલ આ ઈ-લોકાર્પણ કાર્યક્રમને સુરેન્દ્રનગર સ્થિત રંભાબેન ટાઉનહોલ ખાતેથી જિલ્લા કલેકટર કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુડ્ડા, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, જિલ્લા ભાજપા પ્રમુખ દિલીપભાઈ પટેલ, અગ્રણીઓ સર્વ વર્ષાબેન દોશી, જગદિશ મકવાણા, ડો. અનિરૂધ્ધ પઢિયાર, વિરેન્દ્ર આચાર્ય સહિતના મહાનુભાવોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો.