એલઓસી નજીક ટાવર્સ બનાવીને કાશ્મીર નેટર્વક પહોંચાડવાનો પાકિસ્તાનનો પર્દોફાશ
નવી દિલ્હી: એલઓસી નજીક ટાવર્સ બનાવીને કાશ્મીરમાં નેટવર્ક પહોંચાડવાના પાક.ના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોબાઈલ ટાવર્સ બનાવીને પાકિસ્તાન સરકાર કાશ્મીરમાં નેટવર્ક પહોંચાડવા માગે છે. તેનાથી પાકિસ્તાનના આતંકવાદીઓને મદદ મળશે. ભારત એ નેટવર્ક બ્લોક કરવા નવી રણનીતિ અપનાવશે.
કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ અંદરોઅંદર સંપર્ક ન કરી શકે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક માહિતી ન ફેલાવી શકે તે માટે ભારત નેટબંધીનો તરિકો અજમાવતું આવ્યું છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિ વધારે હોય છે ત્યાં નેટબંધી કરવાનો વ્યૂહ કાશ્મીરનું સુરક્ષાતંત્ર અજમાવે છે. 370 કલમ હટાવ્યા પછી પણ ભારતે ઘણો વખત નેટવર્ક બંધ રાખીને આતંકવાદી પ્રવૃત્તિને અંકુશમાં રાખી હતી. એની સામે પાકિસ્તાને હવે જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત આતંકવાદીઓને નેટવર્ક મળે તે માટે મોબાઈલ ટાવર્સ બનાવવાનું કાવતરૂં ઘડી કાઢ્યું છે. કાશ્મીરમાં કાર્યરત ભાંગફોડિયા તત્વો પાકિસ્તાનના નેટવર્કનો ઉપયોગ કરી શકે તે માટે પાકિસ્તાની સરકાર સરહદી વિસ્તારોમાં ટાવર્સ બનાવીને તેના સિગ્નલની ફ્રિકવન્સી ભારતની સરહદે પહોંચાડવાની ફિરાકમાં છે.