Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પૂરૂ નથી થયું કોરોનાનું સંકટ : વધારે ખતરનાક હોઈ શકે છે ત્રીજી લહેર

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા રાજયોમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે : CSIRના એકસપર્ટે કોરોના વાયરસને લઈને આપી ચેતવણી : લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ

તિરૂવનંતપુરમ,તા. ૧: : ઘણા દેશોમાં વેકસીન ઉપલબ્ધ થયા અને નવા કેસમાં ઘટાડો થયા બાદ પણ કોરોનાનો ખતરો હજી પણ રહેલો છે. કોરોના વાયરસ હજી વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર)ના ડાયરેકટર શેખર સી માંડેએ રવિવારે કોરોનાના ત્રીજા રાઉન્ડના ખતરાને લઈને ચેતવણી આપી છે.

તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯નાં સંકટ હજી સમાપ્ત થયું નથી અને તેનો ત્રીજો રાઉન્ડ આવે છે તો તેના ગંભીર પરિણામ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સંસ્થાઓમાં સતત સહયોગની સાથે જ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણ પર વધારે પડતી નિર્ભરતાથી ઊભી થનારી સંકટપૂર્ણ સ્થિતિઓને ટાળવી જરૂરી છે. આવી સ્થિતિ સમગ્ર માનવજાત માટે જોખમ ઊભું કરી શકે છે.

માંડે તિરુવનંતપુરમમાં રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી દ્વારા આયોજીત એક ડિજિટલ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમનો વિષય કોવિડ-૧૯ અને ભારતની પ્રતિક્રિયા હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હજી પણ હર્ડ ઈમ્યુનિટી મેળવવાથી દૂર છે અને તેવામાં લોકોએ વાયરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ. આ ઉપરાંત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા જેવા કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરતા રહેવું જોઈએ.

તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેનો પડકાર અત્યાર સુધી જે કોરોનાનો સામનો કર્યો છે તેનાથી પણ વધારે હશે. તેથી લોકોએ સાવચેતી રાખવી પડશે અને કોરોના ખતમ થઈ ગયો છે તેમ સમજયા વગર કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે.

(10:26 am IST)