Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સારા કર્મો-સુખદ ફળ

આપણે હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઇએ જો સત્યના માર્ગે ચાલીને શુભકર્મો પુણ્ય કાર્યો કરતાં રહીશું તો આપણે સુખી રહી શકીશું.

કર્મફળનો સિધ્ધાંત છે કે દરેક માનવીએ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે.

કર્મોની ગતિ ન્યારી છે. સારા કર્મોનું ફળ હંમેશા સારૂ જ હોય છે. અને ખરાબ કર્મોનું ફળ દુઃખના રૂપમાં પાછુ મળે છે.

સંત કબીરે કહ્યું છે, શરીર ખેતર છે, મન ખેડૂત છે. અને પાપ-પૂણ્ય બીજ છે, એમાંથી જે વાવીશું  તે  જ પાકશે જો આપણે બાવળ વાવ્યો હોય તો પછી તેમાંથી કેરીની અપેક્ષા રાખી શકાય નહીં.

માનવી જયાં જાય છે ત્યાં તેના કર્મો પણ તેની સાથે જાય છે. જે કર્મો પ્રારબ્ધ બનીગયા હોય તેને ભોગવવા જ પડે છે.

શ્રીરામ શર્માજીએ કહયું છે કે, સારા કે ખરાબ કર્મો કરીએ છીએ તેનું સુક્ષ્મ ચિત્ર  આપણી અંતચેતનામાં થતું રહે છે. આપણા કર્મોની સુક્ષ્મ રેખાઓ આપણા અંતર્મન પર અંકિત થતી રહે છે.

આપણા અચેતન મનમાં ભેગા થયેલા કર્મોની રેખાઓ એમને અનુકુળ અવસર આવતા જ સારા કે ખરાબ ફળરૂપમાં પ્રગટ થઇ જાય છે.

એમ કહેવાયુ છે કે, કર્મ લેખ મિટે નહી, કહે કોઇ લાખ ચતુરાઇ, કર્મનું ફળ આજે નહી તો કાલે પણ અવશ્ય મળે છે.

કયારેક આપણને એવુ પણ લાગે કે, મેં તો હંમેશા સારા કર્યો જ કર્યા છે. આમ છતાં મને દુઃખ શા માટે ? પહેલી નજરે તો આ વાત સાચી લાગે, સારા કર્મો કર્યા હોય તો એના પરિણામે દુઃખ આવતું નથી પરંતુ ભૂતકાળમાં એવું કોઇ ખરાબ કર્મ અવશ્ય કર્યુ હશે જેથી હવે તક મળતા આપણા જીવનમાં દુઃખનાં રૂપમાં પ્રગટ થઇ રહ્યું છે.

અત્યારે જે સારા કર્મો કરી રહ્યા છીએ તે પણ એક દિવસ પરિપકવ થઇને આપણુ પ્રારબ્ધ બની જાય છે. અને આપણને તેનું સુખદ ફળ ગમે ત્યારે મળવાનું જ આમ કર્મફળએ શાશ્વત છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:38 am IST)