Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગાંધીજીની પોતાનો જન્‍મદિવસ ક્‍યારેય ઉજવતા ન હતાઃ આ દિવસ તેઓ પ્રાર્થના અને ચરખો ચલાવવામાં પસાર કરતા

નવી દિલ્હી: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા અને કેવી રીતે ઉજવતા હતા.

ગાંધીવાદી રામચંદ્ર રાહીના જણાવ્યા મુજબ કદાચ ગાંધીજી જન્મદિવસ ઉજવતા નહતા. પરંતુ લોકો તેમના જન્મદિવસનો ઉત્સવ ઉજવતા હતા. તેમણે વર્ષો પહેલા ગાંધીજીએ કહેલા કથનોનો ઉલ્લેખ કરતા કહ્યું જ્યારે વર્ષ 1918માં ગાંધીજીએ પોતાના જન્મદિવસ ઉજવનારા લોકોને કહ્યું હતું કે 'મારા મૃત્યુ બાદ મારી કસૌટી હશે કે હું જન્મદિવસ ઉજવવાને લાયક છું કે નહીં.'

તો પછી જન્મદિવસે બાપૂ શું કરતા હતા?

દેશભરમાં ફેલાયેલી ગાંધીવાદી સંસ્થાઓની માતૃસંસ્થા, ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે આ ગંભીર દિવસ રહેતો હતો. આ દિવસે તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, ચરખો ચલાવતા હતાં, અને મોટાભાગે મૌન ધારણ કરતા હતા. કોઈ પણ મહત્વપૂર્ણ દિવસ તેઓ આ જ રીતે મનાવતા હતા.

પરંતુ સરકાર આજે ગાંધી જયંતી પર જાત જાતના સમારોહનું આયોજન કરે છે. જો કે કોરોનાકાળમાં તો આ અનેક બાબતો ધ્યાનમાં રાખીને સમારોહનું આયોજન કરવું પડે છે. વર્ષભર કાર્યક્રમો ચાલતા રહે છે. રાહીએ કહ્યું કે સરકાર જો ખરેખર ગાંધીજીનો જન્મ દિવસ ઉજવવા માંગતી હોય તો તેઓએ ગાંધીના વિચારો પર સમાજને આગળ લઈ જવાની કોશિશ કરવી જોઈએ.હાલ સરકાર ગાંધીના જન્મદિવસને સફાઈ સાથે જોડે છે.

ગાંધી જયંતીના પરિપેક્ષ્યમાં સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન ચાલે છે તેના પર રાહીએ કહ્યું કે 'જો સફાઈ અંગે વિચારીએ તો પહેલું કામ એ હોવું જોઈએ કે દેશમાં સફાઈ કરનારાઓને એવી સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ, જેનાથી તેમણે ગટરમાં ઉતરીને સફાઈ ન કરવી પડે. સફાઈકર્મીઓને મોતના મોમાં ધકેલવા એ સરકાર માટે શરમની વાત છે.'

(4:52 pm IST)