Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

લોકડાઉનમાં ડો. શર્માએ ૬ હજાર દર્દીઓનો ઉપચાર કર્યો : અનેક રાત ઘર બહાર વિતાવી

જોધપુરના વરિષ્ઠ ન્યુરો સર્જને પોતાની રેસ્કયુ ટીમ બનાવી સંક્રમીતોને રાહત આપેલ

જોધપુર,તા. ૪: કોરોના કહેર વચ્ચે લોકડાઉન દરમિયાન પોતાના દર્દીઓને દવા આપવાની સાથે ૬ હજાર જેટલા અન્ય દર્દીઓને ટેલીફોન અને વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઉપચાર પણ કરેલ. ઇમરજન્સી સ્થિતીમાં ઘરે પહોંચેલ દર્દીઓને પણ નિરાશ ન કરેલ. તેના માટે ઘરની બહાર જ પથારી લગાવી અનેક રાતો વિતાવનાર જોધપુરના વરિષ્ઠ ન્યુરોસર્જન ડો. નગેન્દ્ર શર્માની આ સેવાઓ હાલ પણ ચાલુ જ છે.

કોરોના કાળમાં ડો.શર્માની સરાહનીય સેવા તેમની તરફથી ગઠીત ટીમ છે. તેમને જીલ્લા તંત્રએ ટેલીમેડીસીન પેનલમાં પણ સામેલ કર્યા છે. લોકડાઉન દરમિયાન દર્દીને ઇજેકશન કે તપાસ માટે એક ચિકિત્સક, મેલ નર્સ અને વોર્ડ બોયની રેસ્કયુ ટીમ પણ બનાવી. તેમને ખાસ પાસ આપવામાં આવેલ.

આ ટીમ કોરોનાથી બચાવની ગોઠવણ કરી સંબંધીત દર્દીનો સંપર્ક કરી ચિકિત્સાકીય સુવિધા ઉપલબ્ધ કરાવતી રહેલ. આ ટીમે લગભગ ૨,૫૦૦ જેટલા દર્દીઓની નિઃશુલ્ક નિદાન ચિકિત્સા કરેલ.

 ડો.શર્માએ મહામારીની તકેદારી રૂપે દર્દીઓ અને પરિજનોને ઇન્ફેકશન ન લાગે તેનું પણ ખૂબ જ ધ્યાન રાખેલ.

તેઓ દર્દીને દુરથી જ તપાસતા અને ઘરમાં ગેલેરીમાં જ સૂતા સવારે સ્નાન કરીને જ અંદર જતા.

ન્યુરોસર્જન ડો.શર્મા રાજસ્થાનમાં ઘણા વર્ષોથી મિર્ગી રોગીઓ માટે નિઃશુલ્ક ચિકિત્સા શિબીર લગાવે છે. અત્યાર સુધીમાં ૮૫ હજારથી વધુ દર્દીઓ લાભ લઇ ચૂકયા છે. આ દર્દીઓની દવા કોઇ પણ હાલતમાં મળે તેવી વ્યવસ્થા તેમણે લોકડાઉનમાં પણ કરેલ. ઉપચાર ચાલી રહેલ ૫૨૦ દર્દીઓને તેમની દવાઓ નિયમિત ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરેલ.

કાઉન્સીલીંગ દ્વારા લોકોને ડીપ્રેશનમાંથી ઉગાર્યા

ડો. શર્મા મુજબ કોરોના સંકટમાં ઘણા લોકો ડીપ્રેશનનો શિકાર થયેલ. જેમને લાગતુ કે તેમની જીવનલીલા પુરી થઇ જશે. આ સ્થિતીમાંથી વ્યકિતને બહાર કાઢવા તેમણે ટેલીફોનીક કાઉન્સેલીંગ કરેલ.

(1:03 pm IST)