Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોના વેકસીન વિનામૂલ્યે નહિ મળે ! પીએમએ આપ્યા સંકેત

વડાપ્રધાને સર્વપક્ષીય બેઠકને કર્યુ સંબોધનઃ ભારત વેકસીન બનાવવાની નજીકઃ કેટલાક સપ્તાહોમાં જ મળશે રસીઃ ૮ વેકસીન પર ટ્રાયલ ચાલી રહ્યુ છે : કેન્દ્ર-રાજ્યો મળીને વેકસીનની કિંમત અંગે ચર્ચા કરી રહ્યા છેઃ વૈજ્ઞાનિકો દ્વારા લીલીઝંડી મળ્યે રસીકરણ કાર્યક્રમ શરૂ થશેઃ એક ખાસ સોફટવેર બનાવાયોઃ સૌ પહેલા વોરીયર્સને મળશે રસી

નવી દિલ્હી, તા. ૪ :. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ વેકસીનને લઈને આજે તમામ પક્ષોના નેતાઓને અપડેટ આપી હતી. આજે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને કહ્યુ હતુ કે વેકસીનના સ્ટોક અને રીયલ ટાઈમ ઈન્ફોર્મેશન માટે એક ખાસ સોફટવેર તૈયાર કરવામાં આવેલ છે. તેમને કહ્યુ હતુ કે કોવિડના રસીકરણનું અભિયાન વ્યાપક હશે. વડાપ્રધાને કહ્યુ હતુ કે નિષ્ણાંતો માને છે કે આવતા કેટલાક સપ્તાહોમાં વેકસીન તૈયાર થઈ જશે. તેમને કહ્યુ હતુ કે વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી મળતા જ ભારતમાં રસીકરણ શરૂ થશે. વડાપ્રધાને કહ્યુ હતુ કે વેકસીનની કિંમત પર કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ચર્ચા જારી છે. તેમણે કહ્યુ હતુ કે વેકસીનની કિંમત સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાઓને જોઈને નક્કી કરવામાં આવશે અને રાજ્ય સરકારો આમા મહત્વની ભૂમિકા ભજવશે. મોદીના આ નિવેદનથી સંકેત મળે છે કે લોકોને કોરોનાની વેકસીન વિનામૂલ્યે નહિ મળે.

વડાપ્રધાને જણાવ્યુ હતુ કે થોડા દિવસ પહેલા મેં રસી બનાવતા વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી. આપણા વૈજ્ઞાનિકો સફળતાને લઈને ભારે આતુર છે. ભારતમાં ૮ વેકસીન ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે અને તેનુ મેન્યુ. ભારતમાં જ થશે. એકસ્પર્ટ માને છે કે રસીકરણ હવે દૂર નથી. જેવા વૈજ્ઞાનિકો આપણને લીલી ઝંડી આપે તરત જ ભારત રસીકરણ અભિયાન શરૂ કરશે.

મોદીએ કહ્યુ હતુ કે હેલ્થકેર વર્કર્સ પછી ફ્રન્ટલાઈન વર્કર્સ અને વડીલોને ત્યાર બાદ ગંભીર બિમારીઓ સાથે જોડાયેલા લોકોને રસી અપાશે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વેકસીનની વહેંચણીને લઈને ઝડપથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ભારત પાસે રસીકરણમાં નિપુણતા છે એટલુ જ નહિ ક્ષમતા પણ છે.

વડાપ્રધાને વેકસીનની કિંમતને લઈને સ્પષ્ટ રીતે કશું કહ્યુ નહોતુ પરંતુ સંકેત આપ્યો હતો કે તેમા સબસીડી મળશે. હાલ તેના કોસ્ટીંગ અંગે ચર્ચા ચાલી રહી છે. ફેંસલો જન સ્વાસ્થ્ય લઈને લેવાશે.

તેમણે કહ્યુ હતુ કે એક ખાસ સોફટવેર સીઓવીન બનાવવામાં આવેલ છે. જેમા લોકોને સ્ટોક અને બીજી માહિતીઓ મળશે. એક રાષ્ટ્રીય સ્તરે નિષ્ણાંતોનુ ગ્રુપ પણ બનાવાયુ છે. વેકસીનની કિંમત અંગે કેન્દ્ર રાજ્ય સાથે મળીને નિર્ણય લેશે. દેશના દરેક ખૂણામાં વેકસીન પહોંચાડવા માટે કોલ્ડ ચેઈનને મજબુત કરવામાં આવશે.

વિદેશથી રસી સસ્તી હશેઃ બધો ખર્ચ કેન્દ્ર સરકાર નહિ ઉઠાવેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે વિદેશોના મુકાબલે ભારતમાં વેકસીન સસ્તી મળશેઃ મંત્રાલયે કહ્યુ છે કે સરકાર પ્રાથમિકતાવાળા સમૂહ માટે જ વેકસીનનો ખર્ચ ઉઠાવશેઃ સાથોસાથ જેમની સ્થિતિ ગંભીર હશે કે પછી જેમનો ડેટા કોવિડ દર્દી તરીકે નોંધાયેલ હશે તેમને જ વેકસીન ફ્રી મળશેઃ સૂત્રોએ કહ્યુ છે કે મંત્રાલયે ૮ રસીનો ઉલ્લેખ કર્યો જેમાં અનેક ત્રીજા તબક્કા સુધી નથી પહોંચ્યા

(2:47 pm IST)