Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અર્નબ ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યાનાં કેસમાં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અલીબાગ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ

ચાર્જશીટમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત ફિરોઝ શેખ અને નીતીશ સારડા નામના બે અન્ય લોકોનો પણ સમાવેશ

મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યાનાં કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મહારાષ્ટ્ર પોલીસે અલીબાગની કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી છે. મીડિયા રિપોર્ટમાં સરકારી વકીલ વતી કહેવામાં આવ્યું છે કે પોલીસ ચાર્જશીટમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત ફિરોઝ શેખ અને નીતીશ સારડા નામના બે અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીએ ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ તાકીદની અરજી કરી હતી, જેમાં આત્મહત્યા કરવા 2018 નાં અન્વય નાઈકને આત્મહત્યા માટે ઉશ્કેરવાનાં કેસમાં ચાર્જશીટ દાખલ કરવા અને આગળની તપાસ અટકાવવાના માંગ કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કે જેમણે આ કેસમાં સીઆઈડી દ્વારા પુન: તપાસનો આદેશ આપ્યો હતો, તેમ કરવાનો તેમને કોઇ અધિકાર નથી, કારણ કે રાયગઢ જિલ્લાની અલીબાગ પોલીસે અગાઉની તપાસ ગયા વર્ષે બંધ કરી દીધી હતી.

આ કેસમાં આરોપીઓ પૈકીના એક આરોપી ગોસ્વામીની ગયા મહિને અલીબાગ પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ગોસ્વામીએ તેમની અરજીમાં નવેમ્બરના રોજ તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી, હાઇકોર્ટને વિનંતી કરી છે કે આ કેસની તપાસ સીબીઆઈ કે અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે.

(11:56 pm IST)