Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સર્જરીમાં પેટમાં કપડું રહી જતાં મહિલાનું મોત થયું

ડોક્ટરની બેદરકારી દર્દી માટે ઘાતક પુરવાર થઈ : ૨૦૧૯માં મુંબઈની ડોક્ટરોએ સર્જરી કર્યા બાદ મહિલાના મોત પછી પુત્રએ ડોક્ટરો સામે ફરિયાદ કરી

મુંબઈ, તા. : ડૉક્ટરની બેદરકારીને કારણે ક્યારેક દર્દીને કેટલું હેરાન થવું પડે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. જેમાં ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં કપડું ભૂલી જનારા ડોક્ટરની સામે બે વર્ષ બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. નવાઈની વાત છે કે, સર્જરી બાદ મહિલા પેટમાં દુઃખાવો થતો હોવાની સતત ફરિયાદ કરતી રહી હતી, પરંતુ ડૉક્ટરે થોડો દુઃખાવો થયા બાદ સાજા થઈ જશે તેવી વાતો કરીને તેને ઘરે મોકલી દીધી હતી.

મુંબઈના મલાડમાં રહેતા ગંગા સેન નામના ગૃહિણીને જાન્યુઆરી ૨૦૧૯માં અચાનક રક્તસ્રાવ શરુ થયો હતો. તેમના ફેમિલી ફિઝિશિયને તેમને મલાડમાં આવેલી જીવન મેટરનિટી હોસ્પિટલમાં રેફર કર્યા હતા. જ્યાં ડૉ. સરિના રેલાન અને ડૉ. રમેશ રેલાને તાત્કાલિક સર્જરી કરીને પેશન્ટનું ગર્ભાશય દૂર કર્યું હતું. હોસ્પિટલમાં થોડો સમય રાખ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ તે વખતે ગંગા સેન સતત એવી ફરિયાદ કરતાં રહ્યાં હતાં કે તેમને પેટમાં ખૂબ દુઃખાવો થાય છે. તેમનાથી દુઃખાવો સહન ના થતાં તેમનો દીકરો આખરે ફરી તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. તે વખતે પણ ડૉક્ટરે એન્ટિબાયોટિક્સ આપીને દર્દીને રવાના કરી દીધાં હતાં.

જોકે, પેશન્ટને પેટમાં થતો દુઃખાવો બંધ નહોતો થયો. દરમિયાન ગંગા સેનના દીકરાના રાજસ્થાનમાં લગ્ન ગોઠવાયા હતા, જેના માટે આખો પરિવાર ઉદયપુર ગયો હતો. ત્યાં પણ પેશન્ટની તબિયત સારી નહોતી. તેઓ ડોક્ટર પાસે પણ ગયા હતા, પરંતુ કોઈ ફરક નહોતો પડ્યો. દરમિયાન મે ૨૦૧૯ના રોજ તેમની તબિયત અચાનક લથડતાં તેમને ઉદયપુરની જેકે હોસ્પિટલમાં એડમિટ કરાયાં હતાં, જ્યાં સિટી સ્કેન કરાતા તેમના પેટમાં સર્જિકલ મોપ હોવાનું ધ્યાને આવ્યું હતુંઉદયપુરની હોસ્પિટલમાં તેમની ફરી સર્જરી કરાઈ હતી, અને તેમના પેટમાંથી કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. સર્જરીની વિડીયોગ્રાફી પણ કરાઈ હતી. સર્જરી કરનારા ડૉક્ટરે કપડાંને લીધે પેટમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હોવાનું પણ જણાવ્યું હતું. પેશન્ટની હાલત વધુ ગંભીર બની હોવાથી તેમને સતત બે મહિના સુધી અલગ-અલગ હોસ્પિટલમાં રખાયા હતા. સારવાર પાછળ ખૂબ ખર્ચ થઈ જતાં દર્દીનો પરિવાર પણ પૈસેટકે ધોવાઈ ગયો હતો. જોકે, ૨૬ જુલાઈના રોજ દર્દીનું મોત થયું હતું. ગંગા સેનના મોત પહેલા તેમના દીકરા રાહુલે પોલીસને અરજી આપી હતી. જોકે, પ્રોટોકોલ અનુસાર, આવા કેસમાં તમામ ડૉક્યુમેન્ટ્સ એક્સપર્ટ્સને મોકલવામાં આવ્યા હતા. ગ્રાંટ મેડિકલ કોલેજમાં મોકલાયેલા ડૉક્યુમેન્ટની ચકાસણી બાદ જો ડોક્ટરની બેદરકારી બહાર આવે તો તેની સામે ફરિયાદ દાખલ થઈ શકે તેમ તપાસ અધિકારી અમોલ શિંદેએ જણાવ્યું હતું.

બીજી તરફ, ન્યાય મેળવવા માટે રાહુલે છેલ્લા બે વર્ષમાં પોલીસ સ્ટેશન, કોર્ટ અને ગ્રાંટ મેડિકલ કોલેજના ૫૦થી વધુ ધક્કા ખાધા હતા. જોકે, તેને કહેવામાં આવ્યું હતું કે કેસોની સંખ્યા ખૂબ વધારે હોવાના કારણે તેમાં મોડું થઈ રહ્યું છે. બીજી તરફ, માતાની સારવારમાં મોટો ખર્ચો કરી દેનારા રાહુલની આર્થિક હાલત પણ કથળી ગઈ હતી.

પાયમાલ થઈ ગયેલા પરિવારને મલાડનું ઘર છોડીને વિરાર રહેવા જવું પડ્યું હતું, અને રાહુલના પિતા તેમજ બહેન રાજસ્થાન ચાલ્યા ગયા હતા. આખરે, વર્ષની શરુઆતમાં મેડિકલ એક્સપર્ટ્સે કેસમાં ગંગા સેનની સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટે ગફલત કરી હોવાનો રિપોર્ટ આપ્યો હતો અને ત્યારબાદ ૦૧ માર્ચના રોજ પોલીસે ડોક્ટરની સામે ફરિયાદ નોંધી હતી. મેડિકલ રિપોર્ટમાં ૨૦૦૮માં ગંગા સેનનું જે હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું ત્યાં આવો એક કેસ બન્યો હોવાનું પણ જણાવ્યું હતું.

મામલે જીવન હોસ્પિટલનો સંપર્ક કર્યો ત્યારે ડૉ. સરીનાના પતિ ડૉ. સિદ્ધાર્થ રેલાને એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે ડૉ. સરીનાને જો કોઈ પ્રતિક્રિયા આપવી હશે તો તે સામેથી સંપર્ક કરશે. જોકે, તેમનો કોઈ પ્રતિભાવ નહોતો આવ્યો.

સ્વ. ગંગા સેનના દીકરા વતી કેસ લડી રહેલા એડવોકેટ તાન્યા ઝાએ જણાવ્યું હતું કે, મેડિકલ બેદરકારીના કેસમાં યોગ્ય ગાઈડલાઈન બનાવવી જરુરી છે. એક્સપર્ટ્સની પેનલમાં જ્યુડિશિયલ મેમ્બરને પણ ઉમેરી શકાય, જેથી પ્રોસેસમાં પણ પારદર્શકતા આવે. કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ ના થઈ હોવાથી પોતે બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી પ્રકારના કેસ ઝડપથી ચલાવાય તેવી માગ પણ કરી શકે છે તેમ પણ તેમણે કહ્યું હતું.

(7:41 pm IST)