Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

મુંબઈમાં દાદા-પિતાની હત્યા કર્યા બાદ યુવકે આપઘાત કર્યો

યુવક ૨૦ વર્ષનો હતો, તે માનસિકરીતે બીમાર હતો : ૫૫ વર્ષીય પિતા, ૮૫ વર્ષીય દાદાની ચાકુ મારીને હત્યા કર્યા બાદ યુવક છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી

મુંબઈ, તા. ૭ : મુંબઈના મુલુંડ વિસ્તારમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક ૨૦ વર્ષીય યુવકે કથિતરીતે તેના પિતા અને દાદાની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ યુવકે તે ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મુંબઈમાં આવેલા મુલુંડમાં શનિવારે સવારે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ, આ યુવકનું નામ શાર્દુલ માંગલે હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકે કથિતરીતે તેના ૫૫ વર્ષીય પિતાની હત્યા કરી દીધી. તેના પિતા પ્રેરણાત્મક વક્તા તરીકેનું કામ કરતા હતા. પોલીસે આપેલી જાણકારી મુજબ આ યુવકની ઉંમર ૨૦ વર્ષ હતી. તે માનસિકરીતે બીમાર હતો અને તેની સારવાર ચાલી રહી હતી.

આ યુવકે કથિતરીતે પોતાના ૫૫ વર્ષીય પિતા અને ૮૫ વર્ષીય દાદાની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં આ યુવક તેના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકના પિતા અને દાદાનું શબ ફ્લેટની અંદરથી મળી આવ્યું છે. પિતા અને દાદાના શરીર પર ચાકુથી કરાયેલા ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

જ્યારે આ ઘટના બની ત્યારે તે ઘરમાં કામ કરતો નોકર વૉશરૂમમાં છુપાઈ ગયો હતો. આ નોકરના જણાવ્યા મુજબ તેણે શાર્દુલને ચાકુ વડે પિતા પર હુમલો કરતા જોયો હતો. પોલીસે આ યુવક સહિત તેના દાદા અને પિતાના શબનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને શાર્દુલે આવું કેમ કર્યું તે વિશે વધુ જાણવા માટે નોકરની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે-સાથે પોલીસ સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

(9:48 pm IST)