Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભારતીય સેનાએ અનંતનાગમાં રેડિયો સ્ટેશન શરૂ : સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયત્ન

રાબતા 90.8 ને ભારતીય લશ્કરે 'દિલ સે દિલ તક ' નામ આપ્યું

અનંતનાગ : સાઉથ કશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં સમાજના દરેક વર્ગના લોકોને જોડવાના પ્રયાસ રૂપે ભારતીય લશ્કરે એક રેડિયો સ્ટેશનની સ્થાપના કરી હતી.રાબતા 90.8 ને ભારતીય લશ્કરે 'દિલ સે દિલ તક ' નામ આપ્યું હતું. સ્થાનિક યુવાનોને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસ રૂપે આ પગલું લેવાયું હોવાનું લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું.

ભારતીય લશ્કરના કમાન્ડર વન સેક્ટર આરઆર બ્રિગેડિયર વિજય મહાદેવને મિડિયાને કહ્યું કે અનંતનાગ માટે આ એક ઐતિહાસિક પળ છે. અનંતનાગ શહેરથી 20 કિલોમીટર દૂર લશ્કરના હાઇ ગ્રાઉન્ડ કેમ્પમાં આ રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું હતું.

બ્રિગેડિયર વિજય મહાદેવને કહ્યું કે આ રેડિયો સ્ટેશન લોકોનું છે અને લોકો માટેનું છે. સવારે છ વાગ્યાથી કાર્યક્રમો શરૂ થશે અને રાત્રે દસ વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશન સક્રિય હશે.

આ રેડિયો સ્ટેશન પર હિન્દી ફિલ્મગીતો, સુગમ સંગીત, પંજાબી ગીતો તથા સૂફી સંગીત રજૂ કરવામાં આવશે. સ્થાનિક કલાકારોને પણ અહીં તક આપવામાં આવશે. ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત વિકાસ કાર્યોની વિગતો પણ આ રેડિયો રજૂ કરશે એમ બ્રિગેડિયર મહાદેવને કહ્યું હતું.

(12:23 pm IST)