Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જીતેગા ઇન્ડિયા... હારેગા કોરોના

વિશ્વના સૌથી મોટા રસીકરણનો પ્રારંભ

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી દેશભરના ૩૦૦૦ કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવી : આજે ૩ લાખ લોકોને અપાશે રસી

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં કોરોનાના અંતનો હવે પ્રારંભ થયો છે. આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે ભારતના રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આજે દેશભરમાં ઉભા કરવામાં આવેલા ૩૦૦૦થી વધુ કેન્દ્રો ખાતે ૩ લાખ જેટલા સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. સીરમ ઇન્સ્ટીટયૂટ દ્વારા વિકસીત 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેક દ્વારા વિકસિત 'કોવેકસીન' કે જે અત્યંત સુરક્ષિત છે તે મહામારી માટે સૌથી મહત્વની છે તે આપવામાં આવી રહી છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ મહામારીએ લોકોને ખુબ પરેશાન કર્યા પરંતુ હવે તેનાથી છુટકારો મેળવવાનો સમય નજીક આવી ગયો છે. આજથી વેકિસનેશન ડ્રાઇવની શરૂઆત થઇ રહી છે. આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે.

સૌથી પહેલા એક કરોડ ૬૦ લાખ કર્મચારીઓને રસી લાગશે જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં ૫૧ લાખ ૮૨ હજારથી વધુ હેલ્થ વર્કર, ૪ લાખ ૩૧ હજારથી વધુ સુરક્ષાકર્મી, ૧ કરોડથી વધુ સોશિયલ વર્કર્સ અને ૧ લાખ ૫ હજારથી વધુ પોસ્ટલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામેલ છે.

રસીકરણ અભિયાન માટે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૩૦૦૬ વેકિસનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. પહેલા દિવસે આશરે ૩ લાખ હેલ્થ વર્કરોને વેકિસન આપવામાં આવશે. એટલે કે પ્રથમ દિવસે તમામ સેન્ટર પર ૧૦૦ લાભાર્થીઓને રસી લગાવવામાં આવશે. રસીકરણનો સમય સવારે ૯થી સાંજે પાંચ કલાક સુધીનો છે.

કોવિડ-૧૯ મહામારી, વેકિસન રોલઆુટ અને Co-win સોફટવેર સંબંધિત સવાલો માટે ૨૪*૭ કોલ સેન્ટર- ૧૦૭૫ પણ સ્થાપિત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે કોરોના વેકિસન હાલ ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને લગાવવામાં આવશે.

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અત્યાર સુધી કોઈપણ કોવિડ-૧૯ વેકિસનની કિલનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહી નતી. તેથી જે મહિલાઓ ગર્ભવતી છે, કે કોઈ મહિલા સ્તનપાન કરાવી રહી છે તેને હાલ વેકિસન આપવામાં આવશે નહીં.

બીજો ડોઝ તે વેકિસનનો હોવો જોઈએ જેમાં પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો એટલે કે વેકિસન ઇન્ટરચેન્જિંગની મંજૂરી હશે નહીં.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, કો-વિન એપ હેઠળ ૮૦ લાખ લાભાર્થીઓનું પહેલા રજીસ્ટ્રેશન થઈ ચુકયું છે. પરંતુ એપ દ્વારા કોઈ રજીસ્ટ્રેશન કરી શકે નહીં. માત્ર અધિકારીઓ આ એપને એકસેસ કરી શકે છે. સામાન્ય લોકો માટે રજીસ્ટ્રેશન કરાવવા ચાર અલગ-અલગ મોડ્યૂલ બનાવવામાં આવ્યા છે.

કોવિડ-૧૯ રસી લવાવવા માટે કોવિડ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન વેકિસન લગાવવા માટે એક ફોટો આઈડી પ્રૂફની સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ વેકિસનની ઉપલબ્ધતા અને પ્રાથમિકતાના આધાર પર રસીકરણનો ક્રાયક્રમ બનાવવામાં આવશે. પછી તેમને મેસેજ મોકલીને જણાવવામાં આવશે કે વેકિસનકયારે અને કયાં લગાવાની છે.

કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધા બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓનલાઇન લિંક મોકલવામાં આવશે. તેના દ્વારા તમે કયૂઆર કોડ આધારિત ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. જાણવા મળી રહ્યું છે કે મ્ય્ કોડ આધારિત વેકિસનેશન સર્ટિફિકેટ માત્ર તે લોકોને આપવામાં આવશે જેણે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હશે.

(10:13 am IST)