Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

શહેરમાં ૨૨૬ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : આજે નવા ૪૨ કેસઃ ૧૦ વિસ્તારોના ૯૫ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન

એક દિ'માં ૩.૫૮ ટકા રીકવરી રેટનો વધારો : અત્યાર સુધીમાં કુલ કેસનો આંક ૪૬૭૪એ પહોંચ્યો : ૬૨ હજાર ઘરનો સર્વે : માત્ર ૧૮ લોકોને તાવનાં લક્ષણો

રાજકોટ તા. ૧૬ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે.  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૨ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.ગઇ કાલે એક દિ'માં ૨૨૬ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જ ૩૧૨૭ દર્દીઓ થતા રિલ્વરી રેટ ૬૭.૫૦ ટકા થયો છે. જે ગઇ કાલે ૬૩.૯૨ ટકા હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૬૭૪  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૩૧૨૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૭.૫૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૭૨૨૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૪કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૦ ટકા થયો  હતો. જયારે ૭૬ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૪૩,૨૪૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૧૨૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૩  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ   સંજય નગર-સંતકબીર રોડ, શ્રી રામ પાર્ક- હરી ઘવા રોડ, વિમલ નગર-યુનિ.રોડ, હરિ દર્શન રેસીડેન્સી- મોરબી રોડ, ભીમરાવ નગર-માર્કેટિંગ યાર્ડ, સરસ્વતી  પાર્ક- રૈયા રોડ, વિનાયક સોસાયટી, કસ્તુરી રેસીડેન્સી- મોરબી રોડ, પાંજરા પોળ, વાલકેશ્વર સોસાયટી- હસનવાડી મેઇન રોડસહિતના વિસ્તારોમાં ૯૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૬૨ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૮ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૬૨,૬૦૭  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે રઘુનંદન, પોપટપરા, રેલનગર, સાંઇબાબા, રામેશ્વર પાર્ક, શિવમ પાર્ક, અવધ પાર્ક, રણછોડદાસ બાપુ આશ્રમ વિસ્તાર, મધુવન પાર્ક, ન્યુ કેદારનાથ, મેહુલ નગર સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૫૬૬ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:02 pm IST)