Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

એર ઈન્ડિયાને તાળું મારી દેવું પડે તેવી પરિસ્થિતિ

સરકારી વિમાની કંપની પર ૬૦ હજાર કરોડનું દેવું : એરક્રાફ્ટ સુધારા ખરડાને રાજ્યસભામાં રજૂ કરતા પહેલાં ઉડ્ડયન ખાતાના પ્રધાન પુરીએ મંગળવારે અણસાર આપ્યો

નવી દિલ્હી, તા.૧૬ : સરકારને એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાની યોજના અભેરાઈએ ચઢાવી દેવી પડે તેમ લાગે છે. એર ઇન્ડિયાને વેચી નાખવા માટે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પછી હાલ એનું લેવાલ કોઇ દેખાતું નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને કાયમ માટે તાળું મારી દે એવી શક્યતા જણાતી હતી. હાલ એર ઇન્ડિયા પર રૂપિયા ૬૦, ૦૦૦ કરોડનું દેવું છે. કેન્દ્રના જાહેર ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સિંઘ પુરીએ એવો અણસાર આપ્યો હતો કે એર ઇન્ડિયા ખરીદવા કોઇ આગળ નહીં આવે તો મેાદી સરકાર એને કાયમ માટે તાળું મારી દઇ શકે છે.

          અત્યારે માત્ર બે વિકલ્પો છે - કાં તો એને વેચી દેવી અથવા એને તાળાં મારી દેવાં. એરક્રાફ્ટ સુધારા ખરડાને રાજ્યસભામાં રજૂ કરવા પહેલાં હરદીપ સિંઘે મંગળવારે આ અણસાર આપ્યો હતો. જો કે એમણે એવી આશા વ્યક્ત કરી હતી કે એર ઇન્ડિયાને નવો માલિક જરૂર મળી જશે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે છેક ૨૦૧૧-૧૨થી આજ સુધીમાં સરકાર એર ઇન્ડિયાને ૩૦,૫૨૦ કરોડ રૂપિયાની મદદ કરી ચૂકી છે.  આટલી રકમ શિક્ષણ, સ્વાસ્થ્ય કે સામાજિક કાર્યો પાછળ વાપરી શકાઇ હોત. પરંતુ એર ઇન્ડિયાના સેંકડો કર્મચારીઓને ખુવાર થતાં અટકાવવા સરકાર અત્યાર સુધી એ ઇન્ડિયાને સતત આર્થિક મદદ કરતી રહી હતી.

કેન્દ્ર સરકારે આ કંપની ખરીદવા માટેની બોલી લગાડવાની છેલ્લી તારીખ વધારીને ઑક્ટોબરની ૩૦મી સુધી લંબાવી હતી. કોરોનાના  કારણે દુનિયા આખીના અર્થતંત્ર પર અસર પડી હતી. એ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બોલી લગાડવાની તારીખ લંબાવી હતી. એર ઇન્ડિયા વેચવાની તૈયારી આમ તો આ વર્ષના જાન્યુઆરીની ૨૭મીથી સરકારે શરૂ કરી દીધી હતી. એર ઇન્ડિયાની સ્થાપનામાં નિમિત્ત બનેલા તાતા ગ્રુપે એર ઇન્ડિયા ખરીદવાની તૈયારી દાખવી હતી.

(8:58 pm IST)