Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

મોત પહેલા સુશાંતસિંહ રાજપૂત ગભરાયેલો અને ડરેલો લાગતો હતોઃ ફલેટમેટના ખુલાસાથી નવો વળાંક

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં છેલ્લા 3 મહિનાથી દરરોજ નવા રહસ્યો ખુલતા જાય છે. 'ધ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' સ્ટારનો 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના તેના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસથી લઈને બિહાર પોલીસે આ કેસમાં તપાસ કરી. મુંબઈ પોલીસે સુશાંતના મોતને આત્મહત્યા ગણાવી છે.  આ કેસમાં અસલ વળાંક તો ત્યારે આવ્યો જ્યારે અભિનેતાના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી સહિત અનેક લોકો સામે પટણામાં એફઆઈઆર નોંધાવી. સુશાંત કેસમાં 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી.

સીબીઆઈ તપાસ બાદ ડ્રગ એંગલ સામે આવ્યો. જેના માટે એનસીબીએ અભિનેતાના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી અને તેના હાઉસ સ્ટાફ દીપેશ સાવંત સહિત અનેક લોકોની પૂછપરછ કરી અને રિયા તથા શોવિક સહિત અનેક લોકોની ધરપકડ પણ થઈ. સીબીઆઈ હજુ પણ તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થની સતત પૂછપરછ ચાલુ છે. સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઈને આપેલી પોતાના નિવેદનમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સુશાંતને લાગતુ હતું જીવનું જોખમ

એક ચેનલના રિપોર્ટ મુજબ સિદ્ધાર્થે કહ્યું છે કે દિશા સાલિયાનના મૃત્યુ બાદ સુશાંતને પોતાના પર જીવનું જોખમ લાગતુ હતું. તેણે એજન્સીને બતાવ્યું છે કે અભિનેતાએ તેને કહ્યું હતું કે મને મારી નાખશે. આ ઉપરાંત પિઠાનીએ એમ પણ કહ્યું કે દિવંગત અભિનેતા દિશાના મોત બાદ પોતાની સુરક્ષા વધારવાની યોજના બનાવી રહ્યાં હતાં. સિદ્ધાર્થે એ પણ ખુલાસો કર્યો કે રિયા ચક્રવર્તીએ સુશાંતના લેપટોપ અને હાર્ડ ડ્રાઈવ સાથે  ઘર છોડ્યું હતું. આ બધા વચ્ચે હવે સીબીઆઈ દિશા અને સુશાંતના મોતની લિંકની પણ તપાસ કરી રહી છે.

બીજી બાજુ રિયા ચક્રવર્તી હાલ 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો રિયાએ પૂછપરછમાં બોલિવુડના 25 એ લિસ્ટેડ સ્ટાર્સના નામનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત અભિનેત્રીએ સારા અલી ખાન અને રકુલ પ્રિત સિંહનું પણ નામ લીધુ છે. કહ્યું છે કે અભિનેત્રીએ તેની અને સુશાંત સાથે ડ્રગ્સ લીધું હતું.

(4:21 pm IST)