Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ફેન્‍સ અને પરિવાર દ્વારા સતત સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી ન્‍યાયની માંગણીઃ નરેન્‍દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને સવાલો પૂછ્‍યા

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ચાર મહિના થયા છતાં હજુ સુધી તેમના મૃત્યુનું કોકડું ગૂચવાયેલું જ છે. સીબીઆઈ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ તારણ પર પહોંચી નથી. હાલમાં જ અહેવાલ આવ્યા હતાં કે એજન્સીએ તપાસ પૂરી કરી લીધી છે અને તે જલદી પોતાનો રિપોર્ટ કોર્ટમાં સોંપવાની છે. પરંતુ સીબીઆઈએ આ અહેવાલ ફગાવ્યા હતાં.

સુશાંત કેસમાં તેના ફેન્સ અને પરિવાર સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યાયની માગણી કરી રહ્યા છે. સોમવારે ટ્વિટર પર ફેન્સે  #CBITraceSSRKillers ટ્રેન્ડ કરાવ્યો. આ ટ્રેન્ડ પર સુશાંતના ફેન્સ એક્ટરને ન્યાય અપાવવાની માગણી સાથે પીએમ મોદીને પણ સવાલ કરી રહ્યા છે.

લોકો પીએમ મોદીને સવાલ કરી રહ્યા છે કે તમે સુશાંતને દેશના યુવાઓને વોટિંગ કરાવવા માટે જાગૃત કરવાની અપીલ કરી હતી. હવે દેશના યુવા જ તમારી પાસે સુશાંતના ન્યાયની માગણી કરી રહ્યા છે. શું તેને ન્યાય મળશે? ગત વર્ષે લોકસભા ચૂંટણી અગાઉ માર્ચમાં પીએમ મોદીએ સુશાંત સિંહ, કાર્તિક આર્યન અને કૃતિ સેનને ટેગ કરતા વોટિંગ માટે લોકોને જાગૃત કરવાની અપીલ કરી હતી.

અનેક લોકોએ સીબીઆઈની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે સીબીઆઈ નકલી ચાવી, ફેક સિમ કાર્ડ્સ, અને સીસીટીવી ફૂટેજ વિશે કેમ વાત કરતી નથી? અત્રે જણાવવાનું કે એજન્સી હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે અને કોઈ તારણ પર પહોંચી નથી. આ બાજુ એમ્સની ટીમે પોતાના રિપોર્ટ કાર્ડમાં દિવંગત અભિનેતાના મોતની મર્ડર થીયરીને ફગાવી દેતા હોબાળો મચ્યો છે.

(4:45 pm IST)