Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

નબળી રોગપ્રતિરોધક ક્ષમતાવાળા-કેન્સર-એચઆઇવી દર્દીઓ રસી ન લ્યે....

કોવેકસીન બનાવતી ભારત બાયોટેકે ચેતવણી જાહેર કરીઃ આ લોકો રસી ન મુકાવે..... ફેકટસીટ જાહેર.... : સ્ટીરોઇડ લેતા હો, બ્લીડીંગ ડીસઓર્ડર ધરાવતા લોકો, ગંભીર બિમારી, તાવ, એલર્જી, પ્રેગનેન્ટ, બાળકોને દુધ પીવડાવતી મહિલાઓ પણ વેકસીનથી દુર રહે

નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં કોરોના વાયરસ સામે વેકસીનેશન શરૂ થઈ ગયું છે. સરકારે બે વેકસીનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ત્રીજા તબક્કામાં ચાલતા કોવેકસીનને ટ્રાયલને જોતા કંપનીએ રસી લગાવનારા લોકો માટે એક ફેકટશીટ જારી કરીને ઘણી સાવધાનીઓનું પાલન કરવા માટે કહ્યું છે.

કોવેકસીન બનાવનારી કંપની ભારત બાયોટેકે એક વ્યાપક ફેકટશીટ જારી કરી છે કે જેની પ્રતિરોધક ક્ષમતા નબળી છે કે દવાઓ લઈ રહ્યા છે, જેની પ્રતિરક્ષા પ્રણાલી પર અસર થઈ શકે છે, તેમણે એન્ટી કોવિડ વેકસીન કોવેકસીન ન લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પહેલા સરકારે કહ્યું હતું કે નબળી રોગ પ્રતિકારક શકિતવાળા દર્દીઓ પણ આ વેકસીનને લઈ શકે છે. જોકે, એવું સમજવામાં આવ્યું હતું કે આ લોકોમાં તે ઓછી અસરકારક રહેશે. સામાન્ય રીતે કીમોથેરાપી કરાવી રહેલા કેન્સરના દર્દીઓ, એચઆઈવી પોઝિટિવ લોકો અને સ્ટેરોઈડ લેનારા આ શ્રેણીમાં આવે છે. આમ તો આવા દર્દીઓને ચેપ લાગવાનો ખતરો વધુ છે પરંતુ ડોકટરનું કહેવું છે કે સામાન્ય રીતે આ લોકોમાં વેકસીનની અસર ઘણી ઓછી હોય છે.

ભારત બાયોટેકે વ્લીડિંગ ડિસઓર્ડરવાળા લોકોને પણ વેકસીન લેવાથી બચવા માટે કહ્યું છે. આ સિવાય જે લોકો ગંભીર રીતે બીમાર છે, તાવ કે કોઈ એલર્જી રહેતી હોય, પ્રેગનેન્ટ કે બાળકોને દૂધ પીવડાવતી મહિલાઓ તેનાથી દૂર રહે. ફેકટશીટમાં સલાહ આપવામાં આવી છે કે જો રસી લેનારમાં કોરોનાના લક્ષણો દેખાય તો તેને પ્રતિકૂળ પ્રભાવ તરીકે નોંધવામાં આવે. તેનું પ્રૂફ RT-PCR ટેસ્ટનું પરિણામ હશે.

ડોકટરોનું કહેવું છે કે દેશભરમાં સામાન્ય પ્રતિકૂળ પ્રભાવના કેસ સામે આવતા આ ફેકટશીટ રજૂ કરાઈ છે. એકસપર્ટ્સનું માનવું છે કે વેકસીન લેનારી વ્યકિતને કોરોના થઈ શકે છે પણ ચેપ સામાન્ય હશે. કંપનીનું કહેવું છે કે, એ વાતની સંભાવના બહુ જ ઓછી છે કે ભારત બાયોટેક કોવિડ ૧૯ વેકસીન (કોવેકસીન)થી કોઈ ગંભીર એલર્જી, રિએકશન થાય.. આવું ભાગ્યે જ થાય છે. આગળ જણાવવામાં આવ્યું છે કે ગંભીર એલર્જીવાળા રિએકશનમાં શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા અને ગળામાં સોજો, ધબકારા ફાસ્ટ થવા, શરીર પર ચકામા અને નબળાઈનો સમાવેશ થાય છે.

ફેકટશીટમાં કહેવાયું છે કે, વેકસીનેટર/અધિકારીને તમારી મેડિકલ પરિસ્થિતિઓ વિશે જરુર જણાવો. એ પણ જણાવો કે શું તમે સતત કોઈ બીમારીની દવા લો છો? જો હા તો કયારથી અને કેવી સ્થિતિમાં.

કોવેકસીનની કિલનિકલ અસર વિશે હજુ સંપૂર્ણ રીતે ખ્યાલ આવ્યો નથી અને ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. એવામાં મહત્વપૂર્ણ છે કે વેકસીન લગાવવાની સાથે બીજી સાવધાનીઓ પણ રાખવામાં આવે. સરકારે કોવેકસીનના ૫૫ લાખ ડોઝ ખરીદ્યા છે જેને ૧૨ રાજયો અને ૧૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે.

(2:59 pm IST)