Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

હવે ભારતમાં કોરોના દર્દીઓની સારવારની રીત બદલાશે : દવાઓના પરીક્ષણ બાદ લેવાયો નિર્ણય

નવા પરિણામ ધ્યાનમાં રાખીને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકૉલને ફરીથી રિવાઇઝ કરાશે

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગે નક્કી કર્યું છે કે વર્તમાન સમયમાં હયાત કોવિડ સારવારના પ્રોટોકૉલ અંગે સમીક્ષા કરવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક મોટા પરીક્ષણ પછી આ નિર્ણય લેવાયો છે

  તાજેતરમાં WHOની આગેવાનીમાં ચાર દવાઓનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું જે મૃત્યુનો દર ઓછો કરવા કે ઓછી ઉપયોગી કે અસફળ રહી હતી. જેમાં એન્ટીવાયરલ ડ્રગ રેમડિસિવીર, મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (HCQ), એન્ટી એચઆઈવી કોમ્બિનેશન ઑફ લોપિનવીર અને રીટોનવીર અને ઇમ્યુનોમોડ્યૂલેટર ઇન્ટરફેરૉન છે. પ્રથમ બે દવા કોરોનાના એ દર્દીઓ માટે છે જેમને સામાન્ય લક્ષણો હોય.

 અંગ્રેજી વર્તમાનપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, પ્રોટોકૉલની સમીક્ષા આગામી સંયુક્ત ટાસ્ક ફોર્સની બેઠકમાં કરવામાં આવશે. આ બેઠકની આગેવાની નીતિ આયોજના સભ્ય ડૉક્ટર વી.કે. પૉલ અને ICMRના ડિરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવ કરશે.

  રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર ભાર્ગવે કહ્યુ કે, "હા, આપણે નવા પરિણામ ધ્યાનમાં રાખીને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકૉલને ફરીથી રિવાઇઝ કરીશું." નોંધનીય છે કે HCQ (હાઇડ્રોક્સિક્લોરોક્વિન) દવાને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ તરફથી સામાન્ય લક્ષણો હોય તેવા કોરોના દર્દીઓને આપવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ઇમરજન્સી માટે રેમડેસિવીર દવાને મંજૂરી આપી છે.

    WHOના સૉલિડેરિટી ટ્રાયલ નામના આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, હવે 30 દેશમાં 405 હૉસ્પિટલમાં આ દવાઓની અસર શંકાસ્પદ છે. આ અભ્યાસમાં કોવિડ-19ના 11,266 વયસ્ક સંક્રમિતોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2,750 દર્દીને રેમડિસિવીર, 954 દર્દીને HCQ, 1,411 દર્દીને લોપિનવીર, 651 દર્દીને ઇન્ટરફેરૉન પ્લસ લોપિનવીર, 1,412 દર્દીને ફક્ત ઇન્ટરફેરૉન અને 4,088 દર્દીને અન્ય દવા આપવામાં આવી હતી

   ભારત પણ આ પરીક્ષણનો હિસ્સો હતું અને આ ચાર દવાનું પરીક્ષણ થયું હતું. ICMRના જણાવ્યા પ્રમાણે 15 ઓક્ટોબર, 2020 સુધી 937 દર્દી અને રેન્ડમ જગ્યાએ આ અંગે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ પરીક્ષણ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ મળ્યા છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના સંસ્થાપક ડૉક્ટર શ્રીનાથ રેડ્ડીએ કહ્યું કે 'આ ટ્રાયલનો ઉદેશ્ય એવું તપાસવાનો હતો કે આ દવા કામ કરે છે કે નહીં? આ અંગે જવાબ મેળવવો ખૂબ જરૂરી હતો. અમને માલુમ પડ્યું છે કે આ કામ નથી કરતી.'

(11:03 am IST)