Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

જીએસટીમાં ત્રિમાસિક રિટર્ન પણ હવે ૧૩ તારીખે ભરવાના નિયમથી પળોજણ

પહેલા ત્રિમાસિક રિટર્ન ભરવા એક મહિનાનો સમય મળતો હતોઃ નવા નિયમને કારણે હવેથી ૧૩ જ દિવસ મળતા વેપારી-સીએની ઊંઘ હરામ

નવી દિલ્હી,તા.૧૭ : જીએસટીમાં દર મહિને અને દર ત્રણ મહિને રિટર્ન ભરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ કરવાને કારણે ત્રણ મહિને રિટર્ન ભરનારા વેપારીઓને રાહત થવાને બદલે મુશ્કેલી વધવાની સ્થિતી પેદા થઇ છે.

ત્રણ મહિને જે પણ વેપારીઓ રિટર્ન ભરતા હતા તેઓને એક મહિનાનો સમય મળતો હતો. આ એક મહિનામાં છેલ્લા ત્રણ માસના ડેટા એકત્ર કરીને તેના આધારે રિટર્ન ભરાતા હતા. જયારે નવા નિયમ પ્રમાણે ત્રણ મહિના પૂર્ણ થયા બાદ ૧૩ દિવસમાં જ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરી દેવાનું હોય છે. જો તે રિટર્ન ફાઇલ કરવામાં મોડું કર્યું તો રોજે રોજનો દંડ અને વ્યાજ સહિતની નોટિસ પણ વિભાગ દ્વારા કરદાતાને મોકલવામાં આવતી હોય છે. તેના કારણે વેપારીઓ, સીએ અને ટેકસ કન્સલટન્ટની પરેશાનીમાં વધારો થયો છે. કારણ કે ટેકસ કન્સલ્ટન્ટ અને સીએએ ગણતરીના દિવસોમાં જ એક સાથે માસિક અને ત્રિમાસિક રિટર્ન ભરવાની સ્થિતિ સર્જાઇ છે. નવા નિયમ કારણે વેપારીઓની તકલીફ દૂર થશે તેવી આશા સેવવામાં આવી રહી હતી પરંતુ આ આશા ઠગારી નીવડી છે. જેથી આગામી દિવસોમાં આ મુદે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવનાર હોવાની શકયતા રહેલી છે. કારણ કે પહેલા ત્રિમાસિક રિટર્ન ભરવા માટે એક મહિનાનો સમય મળતો હતો.જયારે હવે થી ફકત ૧૩ જ દિવસ મળતા યહોવાના લીધે સમસ્યામાં વધારો થયો છે. આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્યું હતું કે પહેલા ત્રિમાસિક રિટર્ન ભરવા માટે એક મહિનાનો સમય મળતો હતો. તેમાં ઘટાડીને ૧૩ જ દિવસ કરી દેવામાં આવ્યો છે. તે અંગેનું જાહેરનામું પણ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. તેના કારણે હવે વેપારીઓએ મહિનો પૂર્ણ થયાના બીજા જ દિવસથી તમામ કાગળ તૈયાર કરીને રિટર્ન ભરવાની તૈયારી કરી દેવી પડશે.

(11:28 am IST)