Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ઈ-કોમર્સ કંપનીનો ૪૦ દિવસ સુધી વિરોધ કરવા કૈટનું એલાન

કંપનીઓ નિયમોનો ભંગ કરતી હોવાનો આક્ષેપ : અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓ મનમાની કરીને એફડીઆઈ પોલીસનો ખુલ્લો ભંગ કરતી હોવાનો આરોપ

નવીદિલ્હી, તા. ૨૦ : અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની તમામ ઈ-કોમર્સ કંપની ઓ વિરૂદ્ધ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે લાલ આંખ કરી છે. કૈટે આ ઈ કોમર્સ કંપનીઓનો ૪૦ સતત દિવસ સુધી વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેડર્સ આ કંપનીઓ પર તમામ નિયમોનું ઉલ્લંઘન કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આંદોલનની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, આ આંદોલનનો ઉદ્દેશ્ય ઈ-કોમર્સ કંપનીઓને ઉઘાડી પાડવાની છે. જે સરકારની નીતિઓના લીરે લીરા ઉડાવી રહી છે. સાથે જ તેઓ દેશના છૂટક વેપાર પર કબ્જો કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

દેશભરના વેપારીઓના સૌથી મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો આરોપ છે કે,  ઈ-કોમર્સ કંપનીઓ પોતાની મનમાની કરવાની સાથે જ એફડીઆઈ પોલીસીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જેથી તેના વિરુદ્ધ દેશભરમાં ૨૦ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ૪૦ દિવસ સુધી આંદોલન ચાલુ રહેશે.

કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલે કહ્યું હતું કે, આંદોલન દરમિયાન અમારી અમુક માગ હતી. જેમ કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ પોલીસીની તુરંત જાહેરાત કરી, ઈ-કોમર્સ રેગ્યુલેટરી અથોરિટીનું નિર્માણ કર્યું. એફડીઆઈ પોલીસની પ્રેસ નોટ ૨ની ખામીઓની દૂર કરવા એક નવી પ્રેસ નોટ જાહેર કરી. તો વળી કેન્દ્ર સરકાર સાથે જ તમામ રાજ્ય સરકાર આ કંપનીઓને પોતાના રાજ્યમાં માલ વેચવાથી રોકવા.

કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણે ઈ કોમર્સ કંપનીઓ પર પ્રહારો કરતા તેમને આર્થિક આતંકવાદી પણ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોટી ઈ કોમર્સ કંપનીઓએ મૂળ કિંમત કરતા ઓછા ભાવે માલ વેચવો, મોટા ડિસ્કાઉંટ આપવા, સામાનની ઈવેન્ટ્રી પર પોતાનું નિયંત્રણ રાખવુ, મોટી બ્રાંડ વાળી કંપનીઓ સાથે સાંઠગાંઠ રાખી ફક્ત તેમનીજપ્રોડક્ટ ત્યાં વેચવીનું વલણ અપનાવ્યું છે. જેના કારણે નાના વેપારીઓને ભારે ફટકો પડી રહ્યો છે.

તેમનું કહેવુ છે કે, દેશભરના ૭ કરોડ નાના મોટા વેપારીઓથી ૪૦ કરોડ લોકોને રોજગાર મળે છે. તેથી આ લોકોને નજર અંદાજ કરી શકાય નહીં, માટે આ લોકો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

(12:00 am IST)