Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પાસપોર્ટમાં સુધારા - વધારા કરાવવા માટે હવે અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે

મુંબઇ તા. ૨૧ : પાસપોર્ટ અંગેના કામ માટે અરજદારોને કોઈ મુશ્કેલીઓ હોય તો હવેથી તેઓ રિજનલ પાસપોર્ટ ઓફિસે સોમવારથી શુક્રવાર દરમિયાન ઓફિસ સમયે કોઈપણ પ્રકારના અપોઈન્ટમેન્ટ લીધા વિના જઈ શકશે. પાસપોર્ટના અરજદારોને વર્ષોથી માત્ર બુધવારે જ પાસપોર્ટ ઓફિસની મુલાકાત કરવા મળતી હતી. ત્યારે નવા રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ અરજદારો ગમે ત્યારે પણ મળી શકે છે તેવો નિર્ણય લીધો છે.

પાસપોર્ટ પર અરજદારોનો ધસારો વધતા દેશભરમાં પાસપોર્ટ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે. હવે કોઈ અરજદારની સમસ્યાનો નિકાલ પોસપોર્ટ સહાયતા કેન્દ્રમાં ન થાય તો અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસમાં અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવાની રહેતી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આવા અરજદારો પાસપોર્ટ ઓફિસે માત્ર બુધવારે જ અધિકારીને મળી શકતા હતા.

જેના કારણે અરજદારને ગુરૂવારે કોઈ તકલીફ પડે તો આખું અઠવાડિયું રાહ જોવી પડતી હતી. તેના પગલે ઘણી ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસનો નવા અધિકારી રેન મિશ્રાએ ચાર્જ સંભાળ્યો હતો. અરજદારની સમસ્યાનું ઝડપી નિવારણ આવે તે માટે તેમણે અઠવાડિયાના પાંચેય દિવસ ઓફિસ કોઈપણ અરજદાર પોતાની સમસ્યા લઈને આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તેમના આ નિર્ણયથી અરજદારોને પણ રાહત થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિદેશ ફરવા કે ભણવા જનારા લોકોની સંખ્યા વધતા પાસપોર્ટ માટેની અરજીઓમાં ઘણા સમયથી વધારો થયો છે. કેટલાક વર્ષોથી ગુજરાતમાં ૬ લાખથી પણ વધુ પાસપોર્ટ દરવર્ષે ઈસ્યૂ થઈ રહ્યા છે. જોકે ૨૦૨૦માં કોરોનાના કારણે માત્ર ૨.૯૩ લાખ પાસપોર્ટ જ ઈસ્યૂ થઈ શકયા હતા. જયારે ૨૦૧૯માં ૬.૬૫ લાખ પાસપોસ્ટ ઈસ્યૂ થયા હતા.

(10:08 am IST)