Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોના : ઓર્ગેનાઇઝડ સેક્ટરના ૪૦ લાખ મજુરોએ નોકરી ગુમાવી

કન્સ્ટ્રક્શન-કૃષિ સેક્ટરમાં લાખોએ નોકરી ગુમાવી : સાત મહત્ત્વના સેક્ટરમાં મોટું નુકસાન કન્સ્ટ્રક્શન અને કૃષિ સેક્ટરમાં થયું છે : રોજગારની આશાઓ સામે પડકાર

નવી દિલ્હી, તા. ૨૨ : કોરોના મહામારી દરમિયાન માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીના સાત મહિનામાં ભારતના સંગઠિત ક્ષેત્રના લગભગ ૪૦ લાખ લોકોએ નોકરી ગુમાવી છે. ઇપીએફઓ દ્વારા જારી પે રોલ ડેટા મુજબ ૭ મહિનામાં ઇપીએફમાં યોગદાન આપતી કંપનીઓમાંથી ૩૯ લાખથી વધુ લોકોને નોકરી છોડવી પડી છે. હવે ઓર્ગેનાઇઝડ સેક્ટરના આ કામદારોને કેન્દ્ર દ્વારા અપાયેલી ઇપીએફ સબસિડીના લાભ માટે યોગ્ય ગણવામાં આવ્યાં છે.

તાજેતરમાં સરકારે નોકરી ગુમાવનારા ઓર્ગેનાઇઝડ સેક્ટરના કામદારોને નોકરી આપવા માટે પ્રોત્સાહિત કરવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી હતી. સરકાર ઓક્ટોબર ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધી નોકરી ગુમાવનારા આ કામદારોને રોજગાર આપતી કંપનીઓને ઇપીએફ યોગદાનમાં સંપૂર્ણ સબસિડી આપવાની છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ૧૨મી નવેમ્બરે આ યોજનાની જાહેરાત કરી હતી. યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં રોજગાર ગુમાવનારા કામદારોને નોકરી આપનારી કંપનીઓને ઇપીએફ યોગદાનમાં સબસિડી અપાશે. યોજના અંતર્ગત સરકાર કામદારના હિસ્સાના ૧૨ ટકા અને કંપનીના હિસ્સાના ૧૨ ટકા ઇપીએફ યોગદાનનો બોજો વહન કરશે. સરકારે આ યોજના અંતર્ગત જૂન ૨૦૨૧ સુધી ૫૦થી ૬૦ લાખ લોકોને રોજગાર આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એટલું જ નહીં આ સમયગાળામાં આ સ્કીમમાં જોડાનારા કામદારે કંપનીને બે વર્ષ સુધી તેનો લાભ અપાશે.

આ પહેલાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને એશિયન ડેવલપમેન્ટ બેન્કના સંયુક્ત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ભારતમાં કન્સ્ટ્રક્શન અને કૃષિ સેક્ટરમાં ૪૧ લાખ લોકોએ રોજગાર ગુમાવ્યો છે. સાત મહત્ત્વના સેક્ટરમાં સૌથી મોટું નુકસાન કન્સ્ટ્રક્શન અને કૃષિ સેક્ટરમાં થયું છે. મહામારીના કારણે યુવાનોમાં રોજગારની આશાઓ સામે સૌથી મોટો પડકાર સર્જાયો છે. સારા સમાચાર એ છે કે સપ્ટેમ્બર ૨૦૨૦માં ઇપીએફઓમાં નવા ૧૪.૯ લાખ લોકો જોડાયાં છે. ઓગસ્ટમાં આ આંકડો ૮.૮ લાખ હતો. તેનો અર્થ એ કે જોબ માર્કેટમાં સ્થિતિ સુધરી રહી છે. માર્ચમાં ૫.૭૨  લાખ ઇપીએફઓ સાથે જોડાયાં હતાં.

(7:42 pm IST)