Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

શાપૂરજી પાલોનજી ગ્રુપ ટાટા સન્‍સમાં રહેલો પોતાનો હિસ્‍સો વેચશેઃ 70 વર્ષ જૂના સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકશે

શાપોરજી પાલોનજી ગ્રુપ ટાટા સન્સમાં પોતાની હિસ્સેદારી વેચી ટાટા સમૂહથી અલગ થશે

નવી દિલ્હી: શાપૂરજી પાલોનજી સમૂહએ ટાટા ગ્રુપથી અલગ થવાનું નક્કી કરી લીધુ છે. 70 વર્ષનો આ વેપારી સંબંધ હવે પૂરો થવા જઈ રહ્યો છે. મંગળવારે શાપૂરજી તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયું કે ટાટા સન્સમાંથી બહાર નીકળવાનો સમય હવે આવી ગયો છે. સમૂહ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સની સાથે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધમાં કડવાહટ આવી ગઈ જેના કારણે હવે આ જોડી તૂટવાના આરે છે.

સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું અલગ થવાનું કારણ

શાપૂરજી પાલોનજી સમૂહ સાઈરસ મિસ્ત્રીના પરિવારનું સમૂહ છે. શાપૂરજી પાલોનજી સમૂહના જણાવ્યા મુજબ અમારો અને ટાટાનો સંબંધ 70 વર્ષ જૂનો છે. તે પરસ્પર વિશ્વાસ અને મિત્રતા પર બન્યો હતો. મંગળવારે સમૂહે સુપ્રીમ કોર્ટમાં જાહેરાત કરી કે ટાટા સમૂહથી અલગ થવું હવે જરૂરી થઈ ગયુ છે. કારણ કે આ કોર્ટકેસથી આજીવિકા અને અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ભારે હ્રદયથી મિસ્ત્રી પરિવાર એ માને છે કે તમામ સ્ટેકહોલ્ડર્સ સમૂહો માટે શાપૂરજી પાલોનજી સમૂહ અને ટાટા સન્સથી અલગ થવું એ જ સારૂ રહેશે.

ભાગીદારી વેચવામાં આવશે

શાપૂરજી પાલોનજી ગ્રુપની બે સબ્સિડરી કંપનીઓ સાયરસ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટર્લિંગ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ટાટા સન્સમાં કુલ 18.4 ટકા ભાગીદારી છે. ટાટા સન્સની બાકી ભાગીદારી ટાટા ગ્રુપે ટાટા ટ્રસ્ટ અને ગ્રુપની અન્ય કંપનીઓ દ્વારા લીધી છે. શાપૂરજી પાલોનજી ગ્રુપ હવે આ ભાગીદારી વેચીને ફંડ ભેગુ કરશે. ટાટા ગ્રુપની આ ભાગીદારીને ખરીદનાર મળી ગયો છે. શાપૂરજી પાલોનજી સમૂહની 1100 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરવાની યોજના છે. તેણે ટાટા સન્સમાં 18.37 ટકા શેરોના એક મોટા ભાગમાં કેનેડાના રોકાણકાર સાથે 3750 કરોડ રૂપિયાના કરાર કર્યા હતાં.

એસપી સમૂહે કહ્યું કે હાલની સ્થિતિ અને ટાટા સન્સની બદલાની કાર્યવાહીને જોતા બંને સમૂહનું એક સાથે રહેવું વ્યવહારિક રહ્યું નથી. ટાટા સન્સના પ્રવક્તાને જ્યારે સંપર્ક કરાયો તો તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો.

શું છે મામલો?

સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સ દ્વારા ઓક્ટોબર 2016માં બરખાસ્ત કરવામાં આવ્યા બાદથી એસપી સમૂહ અને ટાટા વચ્ચે કાનૂની જંગ ચાલુ છે. નિવેદન મુજબ ટાટા સન્સે કોવિડ મહામારીથી ઉત્પન્ન વૈશ્વિક સંકટ વચ્ચે એસપી સમૂહને નુકસાન પહોંચાડવાના પૂરા પ્રયત્નો કર્યા છે. મિસ્ત્રી પરિવાર પોતાની વ્યક્તિગત સંપત્તિના બદલે ફંડ ભેગુ કરવામાં લાગ્યું હતું. આ પગલું 60,000 કર્મચારીઓ અને એક લાખથી વધુ પ્રવાસી કામદારોની આજીવિકા માટે ઉઠાવવામાં આવ્યું.

(5:27 pm IST)