Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સૈન્ય કમાન્ડરો વચ્ચે યોજાઇ બેઠક

ટેન્શન ઘટશે? LAC પર વધુ સૈનિકો નહિ મોકલવા ભારત અને ચીન વચ્ચે સમજુતી : સંયુકત નિવેદન

નવી દિલ્હી,તા.૨૩: પૂર્વ લદાખમાં તણાવ ઓછો કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરતા ભારત અને ચીનની સેનાઓએ સરહદો પર વધુ સૈનિકો ન મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે થયેલી છઠ્ઠા તબક્કાની વાતચીત સંગલ્ન ભારતીય સેના અને ચીની સેનાએ મંગળવારે મોડી સાંજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું અને કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સ્થિર કરવાના મુદ્દે બંને પક્ષોએ ઊંડાણપૂર્વક વિચારોનું આદાન પ્રદાન કર્યું અને બંને પક્ષ પોતાના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિના ઈમાનદારીપૂર્વક અમલીકરણ પર સહમત થયા.

પૂર્વ લદાખમાં ગતિરોધ ખતમ કરવાના હેતુથી બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે સોમવારે ૧૪ કલાક સુધી બેઠક ચાલી હતી. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ પરસ્પર સંપર્ક મજબૂત કરવા અને ગેરસમજ તથા ખોટા નિર્ણયથી બચવા પર સહમત થવાની સાથે ફોરવર્ડ પોસ્ટ પર વધુ સૈનિક ન મોકલવા અને ગ્રાઉન્ડ સ્થિતિ એકતરફી રીતે ન બદલવા પર સહમત થયાં.

તેમાં કહેવાયું કે ભારતીય અને ચીની સેના સ્થિતિને વધુ જટિલ બનાવે તેવી કોઈ પણ કાર્યવાહીથી બચવા પર સહમત થઈ. આ સાથે જ બંને પક્ષ સમસ્યાઓને યોગ્ય ઢબે ઉકેલવા, સરહદી વિસ્તારોમાં જોઈન્ટ રીતે શાંતિ સુનિશ્યિત કરવા માટે વ્યવહારિક પગલાં લેવા માટે સહમત થયાં. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ જેમ બને તેમ જલદી કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીત માટે પણ સહમત થયા.

બંને દેશોના પ્રતિનિધિમંડળોએ સરહદ પર મે મહિનાની શરૂઆતથી ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ૧૦ સપ્ટેમ્બરના રોજ પાંચ પોઈન્ટની દ્વિપક્ષીય સમજૂતિના અમલીકરણ પર વિસ્તારથી વિચાર વિમર્શ કર્યો. એવું કહેવાય છે કે ભારતીય પ્રતિનિધિમંડળે ૧૦ સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકર તથા તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે થયેલી સમજૂતિને નિશ્યિત સમય મર્યાદામાં લાગુ કરવા પર ભાર મૂકયો. સૂત્રોએ જણાવ્યું કે વાર્તાનો એજન્ડો પાંચ પોઈન્ટની સમજૂતિના અમલીકરણની નિશ્યિત સમયમર્યાદા નક્કી કરવાનો હતો.

બંને પક્ષોએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે લદાખ વિસ્તારમાં ઓકટોબર મહિનાથી ઠંડી પડવાની શરૂ થઈ જાય છે અને ત્યારબાદ તાપમાન શૂન્યથી પણ ૨૫ ડિગ્રી નીચે જતુ રહે છે તથા ઓકિસજનની અછત થાય છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતીય સેનાના લેહ સ્થિત ૧૪ કોર કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહે કર્યું. સૈન્ય વાર્તા માટે ભારતીય પ્રતિનિધિમંડળમાં પહેલીવાર વિદેશ મંત્રાલયના કોઈ વરિષ્ઠ અધિકારીને સામેલ કરવામાં આવ્યા હતા.

(11:44 am IST)