Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પિતા વિચારશીલ હોવાની સાથે કામમાં વિશ્વાસ રાખતા હતા

પિતા એક દમ પાક્કા હિન્દુ હતા : નેતાજી સુભાષચંદ્ર બોઝના પુત્રી : દેશને આઝાદ કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવનારા નેતાજી વિશે તેમની પુત્રી અનીતાએ મહત્વની વાત કરી

કોલકાતા, તા. ૨૪  : મહાન સ્વાતંત્ર સેનાની અને આઝાદ હિંદ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની જર્મનીમાં રહેતી દીકરી અનીતા બોઝ ફાફે પોતાના પિતા વિશે ઘણી વાતો શેર કરી છે. દેશમાં નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ અવસર પર નેતાજીની દીકરીએ મ્યુનિખમાં ભારતીય વાણિજ્ય દુતાવાસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરેલા વીડિયો સંદેશમાં કહ્યું કે મારા પિતા પાક્કા હિન્દુ હતા પરંતુ તેઓ અન્ય ધર્મોનું પણ સારી રીતે સન્માન કરતા હતા. તેમણે કહ્યું કે મારા પિતાએ પોતાના અનુયાયિયોને પ્રેરિત કર્યા. જેમાં ઈન્ડિયન નેશનલ આર્મીના સભ્ય, તેમના મિત્ર પણ હતા. જર્મનીમાં અર્થશાસ્ત્રી અનીતાએ કહ્યું કે તેમના પિતા વિચારશીલ હોવાની સાથે કામ કરવામાં પણ વિચાર રાખતા હતા. અનીતાએ કહ્યું કે નેતાજી ઈચ્છતા હતા કે ભારત આધુનિક હોવાની સાથે જ દુનિયામાં સૌથી આગળ હોય.

        દેશની મોટી ધાર્મિક પરંપરાઓ, દર્શન અને ઐતિહાસિક મામલે પણ એટલા મજબૂત હોય. દીકરીએ જણાવ્યું કે તેના પિતાએ સ્વતંત્રતા આંદોલન દરમિયાન ઘણાં ગંભીર પડકારોને સાહસિક રીતે સામનો કર્યો. તેમણે કહ્યું કે મારા પિતા પોતાના દેશથી ઘણો પ્રેમ કરતા હતા. તેઓ દેશ માટે મોટામાં મોટો ત્યાગ કરવા માટે તૈયાર હતા. વડાપ્રધાન મોદી નેતાજીની જયંતી પર કોલકાતા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ દેશને નેતાજીના અદમ્ય સાહસ અને રાષ્ટ્રની નિસ્વાર્થ સેવાને સન્માન કર્યા અને યાદ કરીને નેતાજીની જયંતીને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે નેતાજી ભારતની તાકાત અને પ્રેરણાનું પ્રતિક છે. વડાપ્રધાન મોદીએ નેતાજીની યાદમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેર કર્યા. સરકારે પાછલા દિવસોમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતી મનાવવા માટે સરકારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ૮૫ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે જે વર્ષ દરમિયાનના વિવિધકાર્યક્રમની રુપરેખા તૈયાર કરશે.

(8:00 pm IST)