Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કિસાન બિલ : હરિયાણા, પંજાબના ખેડૂતોનું રેલ રોકો

રેલવે ટ્રેક પર ધરણાં, ઉ. ભારતમાં અનેક ટ્રેનો બંધ : સરકાર માગણી નહીં સ્વીકારે તો આંદોલનને દેશભરમાં વધુ વેગવાન અને અસરકારક બનાવવા ખેડૂતોની ચિમકી

ચંડીગઢ,તા.૨૪ : કેન્દ્ર સરકારે પસાર કરેલા વિવાદાસ્પદ કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કરી રહેલી કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ ગુરુવારથી પંજાબ અને હરિયાણામાં રેલ રોકો આંદોલન શરૂ કરતાં ઉત્તર ભારતમાં સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની રેલવેને ફરજ પડી હતી. શુક્રવારે સમગ્ર દેશમાં ખેડૂતોએ બંધનું આહવાન કર્યું છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંઘ પંઢેરે કહ્યું કે અમે આજથી રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું જે ૨૬ સપ્ટેબર સુધી ચાલુ રહેશે. સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો અમે આંદોલનને વધુ વેગવાન અને અસરકારક બનાવીશું. સરકારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં કૃષિ વિષયક ત્રણ ખરડા પસાર કર્યા હતા. આ મુદ્દે એનડીએના બે ઘટક પક્ષો અકાલી દળ અને જદયુ વિરોધ કરી ચૂક્યા છે. અકાલી દળના હરસિમરત કૌરે તો કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. વિપક્ષોએ રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે આ બંને ખરડા અટકાવી દેજો. એના પર સહી સિક્કા કરતા નહીં.

એકવાર રાષ્ટ્રપતિ આ ખરડાઓ પર સહી કરે એટલે આપોઆપ એ કાયદા બની જાય. પછી કશું થઇ શકે નહીં. ખેડૂતોના મહાસંઘે આવતી કાલે પચીસમી સપ્ટેંબરે ભારત બંધની હાકલ કરી હતી.  એકલા પંજાબ બંધ માટે ૩૧ ખેડૂત સંઘો સંગઠિત થયા હતા.  પંજાબની કોંગ્રેસ સરકારે આ ત્રણે ખરડાને ખેડુતો પર ઘાતક હુમલા સમાન ગણાવ્યા હતા. કોરોના મહામારીને પગલે રેલવેએ સામાન્ય પ્રવાસી ટ્રેનોનું સંચાલન અનિશ્ચિતકાળ સુધી બંધ રાખ્યું છે. તંત્ર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.સૌપ્રથમ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી જેને બાદમાં તમામ ખેડૂત સંગઠનોએ સમર્થન આપ્યું હતું. ગુરુવારે ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ બરનાલા અને સંગરુપ ખાતે સવારમાં રેલવે ટ્રેક પર બેસીનો વિરોધ કર્યો હતો.

દરમિયાન કિસાન મજજૂર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ અમૃતસરના દેવીદાસપુર અને ફીરોઝપુરના બસ્તી ટંકાવાલા ખાતે પણ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શનો કર્યા હતા.સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નુએ જણાવ્યું કે અમે તમામ વિપક્ષ રાજકીય પક્ષો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને પણ ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં જોડાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે ભાજપના નેતાઓનો ઘેરાવ કરીશું તેમજ જે સાંસદે ખેડૂત બિલના સમર્થનમાં મત આપ્યો હશે તેમનો બહિષ્કાર પણ કરીશું.

(9:09 pm IST)