Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દિલ્હીને ભડકે બાળવા બંગાળી બોલતી ૩૦૦ મહિલાઓને લવાઈ હતીઃ ઉમર ખાલિદે રચ્યું હતું ષડયંત્ર

CAA વિરુદ્ઘ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણો પર મોટો ખુલાસો

નવી દિલ્હી, તા.૨૪: નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ઘ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણો પર મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસનો આ ખુલાસો દિલ્હી તોફાનોના સૌથી મોટા માસ્ટરમાઈન્ડ ઉમર ખાલિદ અને પથ્થરમારો કરનારી મહિલાઓ સંબંધિત છે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે દિલ્હી તોફાનોમાં બંગાળી ભાષા બોલનારી લગભગ ૩૦૦ મહિલાઓનો ઉપયોગ થયો હતો. બંગાળી બોલનારી આ મહિલાઓને દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારથી જાફરાબાદમાં Anti CAA પ્રદર્શન માટે બોલાવવામાં આવી હતી. આ મહિલાઓને  બસનું ભાડું પણ આપવામાં આવ્યું હતું. આ ભાડું દિલ્હી તોફાનોનું પ્લાનિંગ કરનારી ગેંગે આપ્યું હતું.

દિલ્હી તોફાનો દરમિયાન બંગાળી બોલનારી આ મહિલાઓને ૭ બસોમાં ભરીને જહાંગીરપુરીથી જાફરાબાદ લાવવામાં આવી હતી. દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ ૨૩ ફેબ્રુઆરીના રોજ પહેલા બસોથી શાહીન બાગમાં પ્રદર્શન સાઈટ પર લઈ જવાયા ત્યાં આ મહિલાઓને ખાવાનું પણ આપવામાં આવ્યું.

ત્યારબાદ તેમને જાફરાબાદ પ્રદર્શન સાઈટ પર લઈ જવાઈ હતી. અત્રે જણાવવાનું કે આ મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓએ Anti CAA પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાંથી મોટાભાગની મહિલાઓ બુરખામાં હતી. આ મહિલાઓના ગ્રુપે દિલ્હી પોલીસના DCP અમિત શર્મા, ACP અનુજ અને હેડ કોન્સ્ટેબલ રતન લાલ ઉપર પણ હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે દિલ્હી પોલીસે હવે આ ૩૦૦ મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓની ઓળખ કરી લીધી છે. પોલીસ તેમના વિરુદ્ઘ જલદી મોટી કાર્યવાહી કરશે. દિલ્હી તોફાનો અને Anti CAA પ્રદર્શનનું આખું પ્લાનિંગ ઉમર ખાલિદ અને અન્ય લોકોએ કર્યું હતું. દિલ્હી તોફાનોમાં ઉમર ખાલિદ એક મોટા માસ્ટરમાઈન્ડ તરીકે કામ કરી રહ્યો હતો.

(10:04 am IST)