Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અલ્હાબાદ હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ

માસ્ક નહિ પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી કરોઃ ગુન્હો નોંધાઇ શકે છે

લખનૌ, તા.૨૫: ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના મામલાને લઈને અલ્હાબાદ હાઈકોટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યકિત ઘરની બહાર માસ્ક લગાવ્યા વગર જોવા મળ્યા તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં કવોરેન્ટાઈન સેન્ટરના બેહાલ અને કોવિડ હોસ્પિટલમાં સારવારની સારી સુવિધાને લઈને પીઆઈએલની સુનવણી દરમિયાન હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.

. નાગરિક ઘરની બહાર માસ્ક વગર ન જોવા મળવા જોઈએ

. જો કોઈ માસ્ક નહી પહેરે તો તે પૂરા સમાજની વિરુદ્ઘ ગુનો કરી રહ્યો છે

. બીજી લહેર આવી તો પોલીસ જવાબદાર રહેશે.

જસ્ટિસ સિદ્ઘાર્થ વર્મા અને જસ્ટિસ અજિત કુમારની ખંડપીઠે કહ્યું કે કોઈ પણ નાગરિક ઘરની બહાર માસ્ક વગર ન જોવા મળવા જોઈએ. જો કોઈ માસ્ક નહી પહેરે તો તે પૂરા સમાજની વિરુદ્ઘ ગુનો કરી રહ્યો છે.

કોર્ટે કહ્યું કે પ્રદેશના દરેક પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી પોલીસ ટાસ્ક ફોર્સ દ્વારા માસ્ક વગર ફરનારા લોકોને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ચિકિત્સા સુવિધાઓ મળે. તેમજ દર્દીઓના એકસ રે  અને સીટી સ્કેન માટે દરેક જિલ્લામાં અલગ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે.

આ ઉપરાંત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પ્રદેશમાં ઠેલા, લારી, ખુમચા વાળાને વેન્ડિંગ ઝોનમાં મુકવામાં આવે. તેમણે કહ્યું કે બીજી લહેર આવી તો પોલીસ જવાબદાર રહેશે. ડોકટર કોરોના દદ્દીઓની સહાનુભૂતિની સાથે સારવાર કરે. આ સંબંધમાં હાઈકોર્ટને કાર્યવાહીનો રિપોર્ટ આપવામાં આવે.  ૨૮ સપ્ટેમ્બરે મામલામાં આગળની સુનવણી નક્કી કરવામાં આવશે.

(10:39 am IST)